વારીસ પઠાણ અને શર્જીલ ઈમામ કે કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર આણિ મંડળી - ભારતીયતાને હાનિ પહોંચાડે એવો કશો પણ બકવાસ કરે, તો આપણે સૌએ મળીને એમનો જોરદાર વિરોધ કરવો જોઈએ. એ સમયે ફેસબુક કે સોશિયલ મીડિયા પર જો હું સક્રિય હોઉં તો કોઈ પણ બફાટ કે બકવાસનો વિરોધ કમસેકમ હું કરું જ. મારે જે કરવાનું છે, તે કરું જ.
પણ એનો અર્થ એ નહીં કે હું બધાને સંભળાવતો ફરું કે તમે પેલા મુદ્દા પર કેમ ન લખ્યું? તે પેલી વાત પર કેમ ચૂપ રહયા? આવા જમાદારીવલણનો કોઈ અર્થ નથી. બીજાઓએ શું કરવું જોઈએ - એના વિશે પ્રશ્નો પૂછવાની વૃત્તિ જરાક કાબૂમાં રહે, તો એનાથી આપણું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.
મને લાગે છે કે કોઈ પણ મુસ્લિમ કે હિંદુ માણસને ન છાજે એવું કૃત્ય કે નિવેદન કરે તો એનો વિરોધ અનુક્રમે મુસ્લિમ કે હિન્દુઓએ જ કરવો એવું ન હોય. આપણા દેશમાં વસતો કોઈ પણ માણસ એ પહેલા ને છેલ્લે ભારતીય જ છે. એની ભૂલ કે વર્તનને એક ભારતીયની ભૂલ કે વર્તન તરીકે જ જોવું જોઈએ. એવા સંજોગોમાં હિંદુ ભાઈનો કાન આમળવા માટે મારું હિંદુ હોવું જરૂરી નથી. એ જ રીતે મુસ્લિમને વઢવા માટે હું મુસ્લિમ જ હોવો જોઈએ, એવો આગ્રહ (કે દુરાગ્રહ) ન હોવો જોઈએ. આવી જીદ આપણા દેશની અખંડિતતાને હાનિ પહોંચાડે છે.
જો કોઈ મુસ્લિમ તોફાન કરે, તો હિંદુ બનીને એને ધોઈ નાખવામાં આપણને આનંદ આવે કે હિન્દુઓના વાંક માટે મુસ્લિમ કડક કાજી બની જાય -આ બંને સ્થિતિ દુઃખદ છે. જાત પરના ગુમડાનો ઈલાજ રાજી થતા થતા ન થાય. એવા સંજોગોમાં આપણી સક્રિયતા વેદના જ આપે. નિશાળમાં કોઈ છોકરો તોફાન કરે, તો તોફાન માટે એનો કાન આમળવો ય પડે. પણ એમ કરતાં કાયમ વિષાદ જ અનુભવાય. જો એમાં પણ મજા આવવા લાગે, તો ચેતી જવું.
જે વ્યક્તિ શિક્ષિત હોય, સંવેદનશીલ હોય - એની જવાબદારી જાત ભણી વિશેષ હોય. બીજાનો ન્યાય કરવાના કામમાં વ્યસ્ત રહેવામાં આપણે માણસ તરીકે દિનપ્રતિદિન નીચા ઉતરતા જઈએ, એ ઠીક નહીં.