આ જિંદગીથી ખુશ કોણ છે?
મારો જવાબ છે, લડવૈયો કે યોદ્ધા..!
હા, એ વ્યક્તિ જે ક્યારેય એના સંજોગો, પરિસ્થિતિઓ સામે લડ્યા વગર હાર નથી માની લેતી. જીત મળે ના મળે, એનું કોઈ મૂલ્ય જ નથી પણ જાતને જે સંતોષ મળે, કે મેં હાર નહતી માની, છેક છેલ્લી ઘડી સુધી મેં સંજોગો સામે લડત આપેલી એ સંતોષ એટલે જ ખુશી!
દાખલો આપું...
તમે કોઈ પરિક્ષા માટે તૈયારી કરી રહ્યા છો અને છેલ્લી ઘડીએ તમે બીમાર પડી જાઓ કે, કોઈ નજીકના સગાનું મૃત્યુ થઈ જાય કે તમારો જ અકસ્માત થાય અને તમારે મહિનો પથારી વશ રહેવું પડે તો... આ બધા થયા સંજોગ, જો તમે એનાથી હાર નહીં માનો, જ્યાં તક મળે ત્યાં વાંચીને, થાય એટલું તૈયાર કરીને તમે પરિક્ષા આપશો જ તો એ પરિણામ ભલે ગમે તે આવે તમારા માટે એ હંમેશાની ખુશીનું કારણ બની રહેશે.
આવી પરીક્ષાઓ તો જીવન હરરોજ લે છે, આપણે જ ફક્ત પેપર પેન લઈને લખીએ એને જ પરિક્ષા માનવાની ભૂલ કરીએ છીએ! નવી પરણીને સાસરે આવેલી વહુ નવા વાતાવરણમાં સેટ થવા પરિક્ષા નથી આપી રહી? તમને નવી નોકરી મળી છે માનો, પહેલા જ દિવસથી તમે ત્યાં ગોઠવાઈ જશો? જૂના સગા, સંબંધો જે ક્યારેક જ કામમાં આવે છે, પણ કામમાં આવે છે એમ વિચારી રોજ રોજ એ સંબંધને તાજો રાખવા કેટલાય કડવા ઘૂંટ પી જતી વ્યક્તિ પરીક્ષાર્થી જ છે ને?
થોડુક વધારે ઊંડું ઉતરીએ.... અસંતોષ કેમ જનમે છે? તમે યોદ્ધા છો, જીવનના બધા કેસમાં તમે તમારો રોલ બરોબર નિભાવી રહ્યા છો પણ જ્યારે તમારા ઘરના લોકો તમારી સાથે ના હોય, કે જે વ્યક્તિને તમે સૌથી વધારે પોતાની માનતા હો એને જ તમારો સ્વભાવ નથી ગમી રહ્યો, તમારે થોડું જતું કરવું જેવા હતું એવું એ વારંવાર તમારા મગજમાં ઠસાવાનો પ્રયત્ન કરે ત્યારે અસંતોષ જનમે છે! આ અસંતોષ માણસને અંદર ને અંદર ખોતરે રાખે છે, એનો જીવન પ્રત્યેનો અભિગમ, એનો જીવન પ્રત્યેનો પ્રેમ ખતમ કરી નાખે છે. પછી એ વ્યક્તિ લડવૈયો નથી રહેતી, જે એના સ્વભાવથી તદ્દન વિપરીત છે એવું એ કરે છે, પોતાનાને ખુશ કરવા અને છેલ્લે એને ભાન થાય છે કે બીજાને તો એ ખુશ નથી જ રાખી શક્યો, પોતાના મનની શાંતિને પણ ક્યાંક ખોઈ ચૂક્યો છે...
તમે તમારો સ્વભાવ ક્યારેય નથી બદલી શકતા! જે છો, જેવા છો એવા જ તમને ભગવાને બનાવ્યા છે એકદમ યુનિક પીસ જેવા હોં તો એવા જ સહી...સ્વિકાર કરો તમારા પોતાના સ્વભાવનો. તમે લાલચી છો, તમે સ્વાર્થી છો, આળસુ છો, બુધ્ધિ વગરના છો એવું ક્યારેક તમે વિચારી શકતા હો તો તમારી જાતને ધન્યવાદ આપો...તમે એટલું જોઈ તો શકો છો કે બદલવાનું શું છે અને ના જ બદલી શકાય એમ હોય તો એને સરભર કેમનું કરવાનું છે!
આ દુનિયામાં તમે એકલા જ જનમ લો છો અને એક દિવસ એકલા જ દુનિયા છોડી જવાના...રસ્તામાં બંધાયેલા બધા સંબંધ તમારી જવાબદારી છે એને નિભાવો જરૂર પણ એમાં એટલા ના ડૂબી જાઓ કે પોતાની જાતને ખોઈ બેસો...👍
ટુંકમાં ખુશ રહેવા માટે થોડુક સ્વાર્થી, લાલચી બનવું પણ જરૂરી છે...પોતાની જાતને પહેલા સંભાળો...બીજું બધું એની મેળે ગોઠવાઈ જશે!
આપ સૌને નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏