#kavyotsav -2
"મન નું મેઘધનુષ્ય"
ચોમાસા ની એક આહ્લાદક ઢળતી સાંજે આભ જ્યારે કેસરિયા રંગથી રંગાયેલ હોય,
ધીમી ધારે ઝરમર મેહુલિયો ધરતી ને પ્રેમ થી ભીંજવતો હોય,
સવાર થી નીકળેલા પંખીડાંઓ સાંજ પડે ને માળા માં કલરવ કરતા પાછા ફરતા હોય,
દૂર થી કોઈ મંદિર ના ઝરૂખા માં દિવડાઓ ઝબુકતા હોય અને સાથે ઝાલર નો સુર સંધ્યા વેળા ને વધાવતો હોય,
આવી મનમોહક સાંજે આકાશ તરફ મીટ માંડીને જોયું ત્યારે,
એક સપ્તરંગી મેઘધનુષ્ય સમગ્ર આકાશ ને ચિરી ને એક કોર થી બીજી કોર છવાયેલું હતું,
જાણે કે કોઈ રૂપસુંદરી એ નવલખો હાર ધારણ કર્યો હોય એમ આભ ચમકતું હતું.
આ મેઘધનુષ્ય ના રંગો ને જોતાં એવું થયું કે,
ઢળતી સાંજ જેવી આ જીંદગી માં મારું મન એટલે આ સોનેરી આભ નું આંગણ,
એમાં આ રંગબેરંગી મેઘધનુષ્યના રંગો માનસપટ પર છવાયેલી વિવિધ લાગણીઓ ની હારમાળા.
આ હારમાળા દરરોજ સર્જાય અને વિખેરાય,
દરરોજ સુંદર સપનાઓ ના મહેલો બંધાય.
ક્યારેક ઉર્મીઓની લહેરો માં ખોવાઈ જવાય તો
ક્યારેક કલ્પનાઓ ના વહાણો થી તરી જવાય.
સુખ ના કિનારે પહોચવા દુઃખ ના દરિયા થી દુર વહી જવાય. ક્યારેક મુઠ્ઠી એક વિશ્વાસ માં પહાડ જેવા ભય ને ભૂલી જવાય,
તો ક્યારેક વહેમો ના જંગલો માં ભૂલા પડી જવાય.
ક્યારેક થોડા અમથાં માં જાજું જીવાય,
તો ક્યારેક ઢગલાં વચ્ચે પણ કંઇક ખાસ શોધાય.
આમ તો કવિ અમથું ના બનાય પણ
ક્યારેક કાગળ પર મનને ઉતારીએ તો કલમ થી કવિતા લખાઇ જાય.
- Bansari Modha