........#.....ઘોડાનું દાન.....#......
... "મરીને જીવીત થઇ આપેલ દાનની સત્ય ઘટના"...
વાત છે જેતપૂર પર દિલ્હીના બાદશાહના આક્રમણ પછીની... જેમાં "એભલ વાળા" નો પૂત્ર "ચાંપરાજ વાળો" કામ આવ્યો. અને એક વચન ખાતર મરીનેય જીવતો થઇ "ઘોડાનું દાન" આપી કોલ પૂરો કર્યો ત્યારની...
"તું તાળાં આવધ તણી, ચકવત ચૂક્યો ના,
શિયો ય તળાપ સદા, અથર્યો ચૂકે એભાઉત !"
(હે એભલ વાળાના પુત્ર ! સિંહ જેવો નિશાનબાજ પણ જરાક ઉતાવળો થઇને કદી કદી પોતાની તરાપમાં શિકારને ચૂકી જાય છે: પણ તું તારાં આયુધોનો એકેય ઘા ન ચૂક્યો.)
ચાંપરાજનું માથું પડ્યું,પણ, એ ઊભા થયેલા ધડને જાણે કે છાતીએ નવી આંખો નીકળી.
તરવાલ વીંઝતું ધડ શત્રુઓનું ખળું કરતું કરતું ,ફોજને મોઢા આગળ નસાડતું ઠેઠ લાઠી સુધી હાંકી ગયું. ત્યાં જઇને એ થાકેલું ધડ ઢળી પડ્યું. જુવાન ચાંપરાજ પોતાની વાટ જોનારીની પાસે સુરાપુરીમાં સિધાવ્યો.
ચાંપરાજની ખાંભી લાઠીને ટીંબે હજુ ઊભી છે.
આ બનાવ પહેલાં એક ગઢવી ને ચાંપરાજે ઘોડો આપવાનું કહેલું, એ ગઢવી ઘોડો લેવા આવે છે. એભલ વાળો ગઢવીને ચાંપરાજ વતી ઘોડો આપવા નું કહે છે.
ગઢવી કહે,“ના, બાપ એભલ વાળા ! એમ હું ઘોડો લેવાનો નથી. ઇ તો ચાંપારાજ વાળો પંડે ભર ડાયરા વચ્ચે આવીને દાન કરે તો જ મારે ઘોડો ખપે, નહિ તો હું આંહીં મારો દેહ પાડીશ. હું મૂવાનાં દાન લઉં કાંઇ ?”
એભલ વાળાની આંખોમાં પાણી આવ્યાં , હસીને બોલ્યો :’ગઢવા, ગાંડો થા મા. ચાંપારાજ તે હવે ક્યાંથી આવે ? મરેલા માણસો ને હાથે ક્યાંય દાન થયેલાં જાણ્યાં છે ? મને ચાંપરાજ કહીને ગયો છે કે ઘોડો ગઢવીને દઇ દેજો.”
ચારણ એકનો બે થયો નહિ. એ તો લાંઘણ ઉપર લાંઘણ ખેંચવા લાગ્યો.,
ચાંપરાજ વાળાને સ્મશાનમાં બાળેલા ત્યાં જઇને બેઠો અને બિરદાવવા લાગ્યો.
આખરે ચાંપરાજ વાળાનું પ્રેત દેખાયું.ચારણ ને વચન દીધું કે ‘જા ગઢવી ,સવારે ડાયરો ભરીને ઘોડો તૈયાર રાખજે, હું આવીશ.’
ચારણે જઇને દરબારને વાત કરી. દરબાર હસ્યા,સમજી લીધું કે ચારણભાઇથી પેટમાં ભૂખ સહેવાતી નથી એટલે આ યુક્તિ કરી છે.
આવી રીતે ડાયરો ભરાશે,આપણે જ ચાંપારાજ વાળાને નામે દાન કરી દેશું,
ચારણ ફોસલાઇ જાશે અને આપણે ચારણ -હત્યામાંથી ઊગરશું. ચારણ ને વાળું કરાવ્યું.
બીજે દિવસે સવારે ડાયરો જામ્યો, ઘોડાને સજ્જ કરી લાવવામાં આવ્યો, ચારણ વાટ જોઇને ઊભો. આખો ડાયરો હાંસી કરવા લાગ્યો, સહુને થયું કે આ ભાઈ થોડોક ડોળ કરીને હમણાં ઘોડો લઇ લેશે.
ત્યાં તો ઉગમણી દિશા તરફ બધાની નજર ફાટી રહી.સૂરજનાં કિરણો ની અંદરથી તેજપુરુષ ચાલ્યો આવે છે. આવીને ઘોડાની લગમ ઝાલી અને ચારણના હાથમાં લગામ મૂકી વણબોલ્યો પાછો એ પુરુષ સૂર્યલોકને માર્ગે સિધાવી ગયો !
‘ખમા ! ખમા તુંને બાપ ! ‘એવી જય બોલાવીને ચારણ ઘોડે ચડ્યો. આખો દાયરો થંભી ગયો અને ચારણે દુહો કહ્યો :–
"કમળ વિણ ભારથ કીયો, દેહ વિણ દીધાં દાન
વાળા ! એ વિધાન, ચાંપા ! કેને ચડાવીએ ?
(માથા વિના જુદ્ધ કર્યું અને દેહ વિના દાન દીધાં: એવાં બે દુર્લભ બિરુદ અમે બીજા કોને ચડાવીએ , ચાંપારાજ વાળા ? એ તો એકલા તને જ ચડાવાય)
તો મિત્રો આ છે આપણી ગરવી ગુજરાતનું ગૌરવ...જય જય ગરવી ગુજરાત...
હર હર મહાદેવ.... હર...