ગુજરાતઃ મહારાષ્ટ્ર નંદુરબાર જિલ્લા ધડગાવ તાલુકાના ભુસ્સા ગામના વિસ્તારમાં નર્મદા નદીમાં બોટ પલટી જતાં 5 મુસાફરોનાં ડૂબી જવાથી મોત થયાં છે જ્યારે 2 લાપતા છે. 35 મુસાફરો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તરતા આવડતુ હોય એવા 30 જેટલા મુસાફરો ઘટના સ્થળથી બહાર નીકળી ગયાં હતાં. નર્મદા અને ઉદય નદીનું સંગમ સ્થળે મકરસક્રાતિના પર્વે સ્નાન કરવાની વર્ષોથી ચાલી આવેલી ગાથા મુજબ મંગળવારે બોટમાં ક્ષમતા કરતા વધુ 70 મુસાફરોને બેસાડતા અને સંતુલન ખોરવતા બોટે પલ્ટી મારી હતી અને અકસ્માત થયો હોવાનું જાણવા મળેલ છે.
આંતરરાષ્ટ્રીયઃ આફ્રિકાના નૈરોબી શહેરમાં બોમ્બ બ્લાસ્ટ અને ફાયરિંગમાં 5 લોકોના મોત થયા છે. માનવબોમ્બ દ્વારા આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દૂસીત હોટલના પાર્કિંગમાં 6 જેટલા આતંકવાદીએ અંધાધુંધ ફાયરિંગ કર્યું હતું. અલસહાબ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે. આ વિસ્તારમાં ઘણા ગુજરાતી લોકો રહે છે. જોકે હજુ સુધી કોઈ ગુજરાતીને નુકશાન થયું હોવાના સમાચાર નથી.
ગુજરાતઃ ઉત્તરાયણ પર્વની રજાઓ હોવાથી વડોદરનો એક પરિવાર અન્ય સગાઓ મળી 20 લોકો પુણે ફરવા માટે ગયાં હતા. ટાઇગર હીલ પર ઉંટ અને ઘોડેસવારી થતી હોવાથી બાળકોએ બેસવાની જીદ કરી હતી. જેથી રૂ. 150માં ઘોડેસવારી નક્કી કરવામાં આવી હતી. પરંતુ સવારી બાદ ઘોડાવાળાએ રૂ. 250ની માંગણી કરતા રૂપિયા બાબતે બોલાચાલી થઇ હતી. જેમાં સ્થાનિકોનુ 50થી વધું ટોળુ આવી પહોંચતા બીભત્સ ગાળો બોલી હુમલો કર્યો હતો. જેમાં ત્રણ યુવાનોને માથાના ભાગે કાંચની બોટલો અને પાઇપ વડે હુમલો કરતા આઇસીયુમાં ખસેડાયાં હતા.
રાષ્ટ્રીયઃ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાનમહેબૂબા મુફ્તીએ સ્થાનિક આતંકવાદીઓને ‘માટીના સપૂત’ તરીકે વર્ણવતા કહ્યું કે તેમને બચાવવા માટે પ્રયત્ન કરવો જોઇએ. તેમજ જમ્મુ કાશ્મીરમાં ‘ગન કલ્ચર’ને ખત્મ કરવા માટે કેન્દ્ર સરકારે સ્થાનિક સંગઠનો સાથે વાતચીત કરવી જોઇએ.
ક્રિકેટઃ ભારતે મંગળવારે બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું. આ સાથે જ ત્રણ મેચની સીરીઝ 1-1થી બરાબર થઈ ગઈ. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરી 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 298 રન કર્યાં હતા. ભારતે 49.2 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવીને 299 રન બનાવીને મેચ પોતાના નામે કરી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ 104 રનની ઈનિંગ રમી હતી.
આંતરરાષ્ટ્રીયઃ ચીને ચંદ્ર પર કપાસનાબીજનું અંકુરણ કરવામાં સફળતા હાંસલ કરી છે. ચીન દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવેલા કપાસના છોડ પર કપાસના બીજ અંકુરિત થયા છે, માનવીઓ દ્વારા ચંદ્ર પર છોડ ઉગાડવામાં આવી રહ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે.
ગુજરાતઃ રેલવે મંત્રાલય હેઠળના રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડઝ ઓર્ગેનાઇઝેશન (આરડીએસઓ)ના અધિકારીઓ 18 ફેબ્રુઆરીના રોજ ગુજરાત આવી પહોંચશે અને મેટ્રો ટ્રેઇનનો પ્રથમ ટ્રાયલ રન આરડીએસઓની હાજરીમાં હાથ ધરવામાં આવશે. અગાઉ ટ્રેઇનનો ટ્રાયલ રન 15 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવનાર હતો.
રાષ્ટ્રીયઃ સૌપ્રથમ વખત આયાતમાં ઘટાડો થતા પાછલા વર્ષના ડીસેમ્બરમાં વેપાર ખાધ (ચાલુ નાણાંકીય વર્ષ 2018-19)માં તેના સૌથી નીચલા સ્તરે છે. વેપા ખાધનો આંક 13.08 અબજ ડોલર પર છ, જે 2019માં સૌથી નીચી છે. જ્યારે નવેમ્બરમાં આ આંક 16.67 અબજ ડોલરના સ્તરે હતો.
પ્રિમાર્કેટઃ ગઇકાલે બેન્ચમાર્ક નિર્દેશાંકોમાં છેલ્લા ત્રણ દિવસની મંદીને બ્રેક લાગી હતી અને ફૂગાવામાં ઘટાડો થશે તેવી આશા અને આંતરરાષ્ટ્રીય બજારો વધ્યા મથાળે બંધ આવતા નિર્દેશાંકો ઊંચા મથાળે બંધ આવ્યા હતા. આજે પિવોટ ચાર્ટના અનુસાર નિફ્ટીમાં મહત્ત્વનું સપોર્ટ લેવલ 10,810 અને ત્યારબાદ 10,734નું મુકાય છે. જો ઇન્ડેક્સ વધવાનું શરૂ કરે તો પ્રથમ પ્રતિકાર સપાટી 10,930 અને ત્યાર બાદ 10,973 જોવા મળી શકે છે.