ચાલો પાછો આવી ગયો વરસનો છેલ્લો દિવસ! બધા લોકો રાત્રે શું કરવાના છે, કે શું કર્યું? એની પોસ્ટ મૂકશે સાથે કેટલાક લોકો સલાહ આપતી પોસ્ટ પણ મૂકશે,
દા.ત. ગરીબ લોકોની, વૃધ્ધોની, બીમાર માણસોને પડતી અગવડોની, પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓની...વગેરે વગેરે વિશે ચિંતા કરો...ટુંકમાં એ રાત્રે કંઈ ના કરો!
હવે મારું કહેવું છે કે આવું બધું બીજા વિશે વિચારીને આપણે ખુશીઓ મનાવવાનું છોડી દેવું જોઈએ? આપણે નથી દારૂ પિતા કે નથી લાઉડ મ્યુઝિક વગાડતા, ફટાકડા પણ દિવાળીએ જ ફોડીએ છીએ તો એ સિવાયનું કંઇ પણ ના કરી શકાય! જરાક વિચારો આખો દિવસ તમે તનતોડ મહેનત કરો છો, સ્ત્રી હોય કે પુરુષ બંનેને કામ તો હોય જ, આ બધાથી પરવારી થોડો સમય તમને તમારા પરિવાર સાથે એન્જોય કરવાની તક મળતી હોય તો શું કામ ના કરવું? ગજવામાં રૂપિયા હોય એ પ્રમાણે તમે બહાર જઈ શકો, નાની કે મોટી હોટેલમાં ફેમિલી સાથે ડિનર લો, ઠંડીમાં કેક કે પેસ્ટ્રી ખાવાની મજા લો, કોઈ ખાસ મિત્રો હોય એ બધા ભેગા મળીને ચા પાર્ટી મનાવી શકો અને બીજું કંઈ નહીં તો નવું વરસ ચાલું થાય ત્યારે એ પહેલી ક્ષણે તમે તમારા પ્યારાઓને ગળે મળીને વિશ તો કરી જ શકો!
એક રાતમાં કંઈ બદલાઈ નથી જવાનું. જે છે, જેવું છે એવું ને એવું જ રહેવાનું છે એ સનાતન સત્ય છે અને એ નથી બદલાવાનું તો આ સેલિબ્રેશન શા માટે? કહું... કેમકે માણસને ખુશ રહેવું ગમે છે! ફેમિલી, ફ્રેન્ડ્સ એ બધા વગર બધું સુનું લાગે છે એ પણ હકીકત છે અને આવા નાના નાના સેલિબ્રેશન થકી જો તમે નાની નાની ખુશીઓને તમારા જીવનમાં સ્થાપી શકતા હોં તો જરૂર એને આવકારો. તમારાં જીવનસાથીને, બાળકોને, તમારા માબાપને, મિત્રોને, તમારે ત્યાં કામ કરતા માણસોને જરાક ભેટીને/ હાથ મિલાવીને એમને નવા વરસની શુભકામના આપી જોજો...એ લોકોની સાથે તમે પણ સુખ એટલું શું એ મહેસુસ કરી શકશો!
જય શ્રીકૃષ્ણ ?
©નિયતી કાપડિયા