રાષ્ટ્રીયઃ નાણામંત્રી અરુણ જેટલીએ મંગળવારે તમામ વસ્તુઓ અને સેવાઓ GSTનાં એક જ સ્લેબમાં આવવાનાં સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં 12 અને 18%ની અંદર એક નવો સ્ટાન્ડર્ડ ટેક્સ સ્લેબ બનાવવામાં આવી શકે છે. જેટલીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, ટૂંક જ સમયમાં 28% ટેક્સ સ્લેબમાંથી ગુટખા, સિગારેટ અને તમાકુ સિવાયની ઘણી ચીજ વસ્તુઓ બાદ કરવામાં આવશે. આવતા મહિને ફરી જીએસટી કાઉન્સિલની એક બેઠક થવાની છે. આ બેઠકમાં કન્સ્ટ્રક્શન થતાં રેસિડન્સ અને કમ્પ્લીશન સર્ટિફિકેટની રાહમાં તૈયાર ફ્લેટનો જીએસટી ઘટાડીને 5 ટકા કરવામાં આવે તેવી શક્યતા છે.
આંતરરાષ્ટ્રીયઃ પાકિસ્તાનની એન્ટિ-કરપ્શન કોર્ટે ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારના વધુ એક મામલે સાત વર્ષ કેદની સજા સંભળાવી છે. આ સિવાય 25 લાખ ડોલર (અંદાજિત 175 કરોડ રૂપિયા)નો દંડ પણ ફટકાર્યો છે. આ સજા અલ અજીજીયા સ્ટીલ મિલ્સ મામલે થઇ છે. ફ્લેગશિપ ઇન્વેસ્ટમેન્ટ્સ સાથે જોડાયેલા વધુ એક મામલે તેઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આ પહેલાં આ જ વર્ષે જૂલાઇમાં લંડનમાં અવેનફિલ્ડ સ્થિત 4 ફ્લેટ સાથે જોડાયેલા મામલે નવાઝને 10 વર્ષ કેદની સજા આપી હતી..
હરિયાણાઃ હરિયાણાનાં ઝજ્જરનાં રોહતક-રેવાડી હાઈવે પર સોમવારે ધુમ્મસને કારણે એક પછી એક આશરે 50 ગાડીઓ અથડાઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં 8 લોકોનાં મોત થયા છે. આ દુર્ધટના બાદ હાઈવે પર આશરે 2 કિમી સુધી ટ્રાફિક જામ થયો હતો.
કોર્પોરેટઃ આઇટી ક્ષેત્રેની માંધાતા કંપની વિપ્રો પોતાના જુનિયર સ્ટાફને જાળવી રાખવા માટે ક્રિસ્ટમસમાં વનટાઇમ બોનસ ચૂકવશે. આ જુનિયર કર્મચારીઓની ભરતી કોલેજ કેમ્પસમાંથી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ તમામ એન્જિનીયરો પાંચ વર્ષથી ઓછો અનુભવ ધરાવે છે. પરંતુ તેઓ વિપ્રો અને સમગ્ર ઉદ્યોગમાં વિકસતા બિઝનેસ સેગમેન્ટ્સ જેમ કે ડિજીટલ અને ક્લાઇડ જેવા નવા ફિલ્ડમાં કુશળતા ધરાવે છે.
રાષ્ટ્રીયઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નવી દિલ્હી ખાતે સંસદ ભવનમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના ચિત્રવાળો 100 રૂપિયાનો સિક્કો જારી કર્યો હતો. 35 ગ્રામ વજનના આ સિક્કાની એક બાજુ અટલજીના નામની સાથે તેમનું ચિત્ર છે. નામ અંગ્રેજી અને દેવનાગરીમાં લખવામાં આવ્યું છું. તેમજ તસવીરની નીચે અટલજીના જન્મનુ વર્ષ અને મડત્યુનુ વર્ષ 2018 અંકિતં છે.
જાકાર્તાઃ ઇન્ડોનેશિયાની સુંદા ખાડીમાં સુનામીની લપેટમાં આવીને મૃત વ્યક્તિઓની સંખ્યા વધીને 281 થઇ છે. તેમજ 1000થી વધુને ઇજા થઇ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ મુજબ શનિવારે મોડી રાત્રે અનાકા ક્રાકાતોઆ જ્વાળામુખી ફાટ્યાં બાદ સમુદ્રની નીચે ભૂસ્ખલન થયું. પરિણામે ઉંચા મોજાને કારણે કાંઠા પરના વિસ્તારો તેની ઝપેટમાં આવી ગયા. દક્ષિણી સુમાત્રાના કાંઠે કેટલીક ઈમારતો નષ્ટ થઈ ગઈ છે.
ક્રિકેટઃ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં રમાનારી બે અલગ અલગ વનડે સિરીઝ માટે બીસીસીઆઇની પસંદગી સમિતિએ સોમવારે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમવામાં આવલી ટી20 સિરીઝમાં ધોનીને આરામ આપવામાં આવ્યો હતો, પરંતુ વનડે સિરીઝ માટે તેમને ફરીથી સામેલ કરી લેવામાં આવ્યા છે.
માર્કેટઃ આજે સવારે લખ્યું હતું તેમ બજારે આજે પણ નબળું પ્રદર્શન કર્યું હતું. ઓટોમોબાઇલ કંપનીઓના નબળા પ્રદર્શનથી સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજાર ઘટાડા સાથે બંધ આવ્યું હતું. બીએસઇનો 31 કંપનીઓ આધારિત સેન્સેક્સ 271.92 પોઇન્ટ કે 0.76 ટકાના ઘટાડા સાથે 35,470.15 પર બંધ થયો હતો. જ્યારે 50 શેર સમાવતી નિફ્ટી 90.50 પોઇન્ટ અથવા 0.84 ટકા ઘટીને 10,663.50 પર બંધ થઇ હતી. પ્રારંભિક ટ્રેડમાં સેન્સેક્સ 50 પોઇન્ટ વધીને 35,859 પર ખુલ્યો હતો, ત્યારે નિફ્ટી મામૂલી વધારા સાથે 10,780 પર ખુલી હતી.