સવાર પડી અને આ દાઢીની રામાયણ! એકાએક મારી ટ્યુબ લાઇટમાં ઝબકારો થયો! ભગવાનને પ્રાર્થના કરતા તેમના સુંદર મુખ પર નજર ઠરી. ભગવાન શ્રીરામ, શ્રીકૃષ્ણ વગેરેને દાઢી મુંછ કે માથે જટા નથી દેખાતી. તેઓના મુખારવિંદ સુંદર અને ચાર્મિંગ લાગે છે. શું તેઓ પણ સવારમાં ઊઠીને શેવ કરતાં હશે? તેમને કંટાળો કે સમયનો અભાવ નહિ નડતો હોય ? શિયાળાની ઠંડી નહિ લાગતી હોય ? શું તેઓ ' 7'O'Clock' કે 'Gillette ' બ્લેડ વાપરતા હશે કે પછી 'ઈલેક્ટ્રીક શેવર' વાપરતા હશે? આ અંગે કોઈ વેદ,પુરાણ કે ધાર્મિક પુસ્તકમાં સહેજ પણ ઉલ્લેખ નથી કેમ?
હશે ભાઈ! તેઓ તો ભગવાન રહ્યા તેથી જાતે શેવ ન કરતા હોય, તો તેમનો કોઈ કેશ કર્તન કલાકાર (હજામ, વાળંદ) સેવક તેમની સેવામાં કાર્યરત હશે. ભગવાન તો સ્વર્ગમાં રહે તેથી આ સેવકને પણ સમયસર સેવા આપવા માટે સ્વર્ગમાં રહેવું પડે. સ્વર્ગમાં તો ફક્ત ભગવાન જ રહે ? તો આ સેવક પણ ભગવાન જ હશે? આ સેવક- ભગવાનનું - નામ કે તેમનો ફોટો કે મૂર્તિ કોઈ ઠેકાણે દ્રશ્યમાન કેમ નથી? શું સ્વર્ગમાં પણ ઉચ્ચ નીચના ભેદભાવ હતા?
જો કે દરેક નિયમને અપવાદ હોય, આમાં પણ બ્રહ્મા, પરશુરામ વગેરેના દાઢી મુંછ વાળા ફોટાઓ છે. તેનું કારણ કદાચ એમ હોઈ શકે, બ્રહ્માજીને માથે સૃષ્ટિના સરજનની મોટી જવાબદારી હતી અને પરશુરામતો ક્ષત્રિયોનો વધ કરવામાં પડ્યા હોવાથી સમય ન મળતો હોય, આથી રોજની શેવિંગની માથાકૂટમાંથી મુક્તિ મેળવી હોય.
સુજ્ઞ વાચકો આ એક સંશોધનનો વિષય છે. આપ આ વિષય પર ચિંતન કરી લોકસેવા કરવાની હાથ આવેલી એક ઉજ્જવળ તક ઝડપી લેશો તેવી અપેક્ષા સાથે વિરમું છું.