...એક સાધારણ પ્રશ્ન...
....એક અસાધારણ ઉત્તરની પ્રતિક્ષામાં...
એક વિશાળ વડલો હતો. પણ એમાં પક્ષીઓ નહોતા. એકલ-દોકલ પંખીડા આવીને છાશવારે કલબલ કરને જતાં રહે. વડલો બીચારો એકલો એકલો ઘણા પ્રયત્નો કરતો કે પંખીડા આવીને રહે,કોલાહલ કરે,રમે,લડે-ઝગડે,મઝાક-મસ્તી કરે,પણ કોઇ પરિણામ નહોતું મળતું... સમય વિત્યો, જાણે ઇશ્વરે એની સામે જોયું એમ એક દિવસ એક ગરુડરાજે આવીને એ વડલા પર ધામા નાખ્યા.છાશવારે આવતા પંખીડાઓને મીઠો આવકાર આપીને રોક્યા, ધીરે-ધીરે દિવસો વિતતાં આખો વડલો વિવિધ સપ્તરંગી પંખીડાઓના માળાથી ભરાઇ ગયો. બધાં ખુબ મોજ-મસ્તી કરતાં,લડતાં-ઝગડતાં,આખો દિવસ ચહકાર વચ્ચે પસાર થતો.જાણે આખો પરિવાર એકબીજા માટે જ બન્યો હતો. ઘણાં નવાં પંખીડાવને પણ આ પરિવારમાં ભળવાની ઇચ્છા થતી.અને ના મેળ પડે તો એમને અદેખાઈ પણ આવતી. પણ આ પરિવાર "અદેખાઈ ને ઘણી ખમ્માં" કહીને બધું જતું કરતો. સમય આવ્યે આખો પરિવાર એક થઇને આવા "ઠિંગરબુચ્ચા" પંખીડાઓને ઊડવાનું ભૂલાવી પણ દેતા. એકંદરે બધું બરોબર નહીં પણ મસ્તીમાં જ ચાલતું હતું. પણ દિવસ પછી રાત હોય એમ અચાનક ગરુડને થોડો સમય બહાર જવાનું થયું.એમણે સૌ પંખીડાઓને બોલાવીને કહ્યું કે હું થોડા દિવસ નહીં હોઉં, તો મારી ગેરહાજરીમાં સૌ સંપીને રહેજો,એકબીજાનું ધ્યાન રાખજો. સૌએ હાઁ માં હાઁ ભરી. અને ગરુડ નિકળી પડ્યું એની રાહે. અહિયાં બધાં રાબેતા મૂજબ જીવવા લાગ્યા. થોડા દિવસ તો બધું બરોબર ચાલ્યું, પણ એક વાતની ચૂક થઇ ગઇ. કોઇપણ નવા પંખીડાને આ પરિવારમાં જોડાવાનો મોકો મળી ગયો. અને આ ભોળા પરિવારના ભોળા પંખીડા એમને આવકારવા લાગ્યાં. એ પણ ના જોયું કે કોની સહમતી છે કોની નહીં,એ ખાટકી છે કે નિશાચર કે ભોળું પારેવડું છે. કંઇ જ નહીં. પરિણામે પરિવારમાં "ભાર" વધવા લાગ્યો,શું કરવું શું ના કરવું? કોઇને કંઇ ગતાગમ જ ના પડે. તો હવે થયું એવું કે અમુક પંખીડા ઉડતાં-ઉડતાં ગયા ગરુડજી પાસે,એમનું નિવાસસ્થાન જોયું,અરે વાહ! ત્યાંથી પણ મોટો વડલો!પણ આ શું? સાવ એકલા? એ પંખીડા ગરુડજી ની સમીપ જઇ બોલ્યા,આપણો જે વડલો હતો એમાં ઘણાં બધાં પંખીડાઓ આવી ગયા છે.કોઇ એકબીજાની માન-મર્યાદા પણ નથી રાખતા. ગમેએમ બોલાચાલી કરે છે,તો કેમ ના આપણે એ "થડ" જ મૂકી દઇયે? અહિયાં તો એથીયે મોટો વડલો છે,અને તમે પણ અહિયાં એકલા જ છો ને?...શું કહો છો?
હવે ગરુડરાજ મૂઝાંયા,
"થડ" મૂકે તો ખોડિયું જાય ને "પરિવાર" મૂકે તો શ્વાસ જાય.
તો વ્હાલાઓ...
પ્રશ્ન એ છે કે, ગરુડજીને આ પરિસ્થિતિમાં શું કરવું જોઇએ?