કળિયુગનો કાનુડો
જન્માષ્ટમી સ્પેશિયલ
સૌને જય શ્રી કૃષ્ણ...
સૌ ને જન્માષ્ટમી ની હાર્દિક શુભકામનાઓ...
(Part - 1)
‘તમે ગમે તેમ કરો, પણ હવે હું એ ડોશી સાથે રહેવાની નથી’ કામિની ગુસ્સાથી બોલી.
‘પણ તું જરા ધીમેથી બોલ… બા સાંભળે છે…’ માલવ આજીજી કરતો બોલ્યો.
‘ભલે સાંભળે… મને પરવા નથી’ કામિની એ જ અવાજમાં ફરી ત્રાડૂકી. ‘એક તો આખો દહાડો ઘરના ઢસરડા કરો અને ઉપરથી આ ડોસીની ટકટક… સાંભળી લો… આ તમને છેલ્લી વારનું કીધુ… આ ઘરમા કાં તો હું… ને… કાં તો એ ડોશી… બેમાંથી ગમે તે એકની પસંદગી કરી લો… આજે ને આજે જ…’
‘અરે પણ, એવું તો થોડું થાય… તું જરા સમજ…’
‘મારે કંઈ સમજવું નથી. તમારે જે સમજવું હોય તે સમજો.’ પગ પછાડતી કામિની રસોડામાં ચાલી ગઈ.
માલવ હવે ખરેખર મૂંઝાયો હતો.
આમ તો કામિનીને બા સાથે પહેલેથી જ બનતું નહોતું. પરંતુ બાપા જીવતા હતા, ત્યાં સુધી બા મોટેભાગે ગામડે જ રહેતાં હતાં અને વાર-તહેવારે જ અમદાવાદના ઘરે આવતાં, એટલે મોટો પ્રોબ્લેમ થતો નહિ. પરંતુ ગયા વર્ષે બાપા ગુજરી ગયા અને તેના આઘાતમાં જશોદાબેનને ડાબા અંગનો લકવો પડી ગયો. એટલે હવે બા ગામડે એકલાં કઈ રીતે રહે? ના છૂટકે માલવ જશોદાબેનને અમદાવાદ લઇ આવ્યો હતો.
પરંતુ ગામડાની સાદી જીવનશૈલીથી રહેવા ટેવાયેલાં જશોદાબેનને શહેરી સંસ્કૃતિમાં રહેવું ફાવતું નહોતું. એટલે આખો દિવસ માલવને, કામિનીને અને બંને છોકરાંઓને સાદાઈથી રહેવાની, ખર્ચો ઓછો કરવાની, ધાર્મિક અને સામાજિક રિવાજો પાળવાની અને એવી કેટલીય શિખામણો આપ્યા કરતાં.
કામિની અને છોકરાંઓને જશોદાબેનની શિખામણો ગમતી નહિ, એટલે માલવ જશોદાબેનને શાંતિ રાખવા સમજાવતો અને વઢતો પણ હતો. તે પછી બા એક-બે દિવસ મૌન રહેતાં, પરંતુ વળી પાછાં પોતાના અસલ રંગમાં આવી જતાં.
એમાં આજે જન્માષ્ટમી હતી. રજાનો દિવસ હોવાથી કામિની અને છોકરાંઓએ પીઝા ખાવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. પરંતુ જશોદાબેનને ખબર પડી એટલે બડબડાટ કરવા લાગ્યાં: ‘ગોકળઆઠમના સપરમા દહાડે માણસ ઉપવાસ કરે, મંદિરે જાય, ભજન-ભાવ કરે કે પછી હોટલમાં ગમે તેવું ખાવા જાય? મૂઆઓ સમજતા જ નથી. અરે, છોકરાંઓને તો સમજણ ના પડે… પણ એમની મા ને તો ખબર પડે ને કે સપરમા દહાડે હોટલમાં પૈસા લુંટાવવા ના જવાય.’
કામિનીએ આ બધું સાંભળ્યું, તેવું જ તે કાળઝાળ ચંડિકા બની ગઈ અને માલવ પર વરસી પડીને આખરી અલ્ટીમેટમ પણ આપી દીધું.
-*-*-*-
આ બાજુ જશોદાબેન પથારીમાં પડ્યાં પડ્યાં વિચારી રહ્યાં હતાં: એવું તે મેં શું કહી દીધું કે વહુ આટલી બધી ઉકળી ગઈ! મેં તો એમના બધાના ભલા માટે જ વાત જ કરી ને! બે પૈસા બચાવશે તો એમને જ કામ આવશે ને! મારે થોડા ગાંઠે બાંધીને સાથે લઇ જવાના છે. આ તો હું અપંગ બની ગઈ અને ભગવાનેય બોલાવી લેતો નથી, એટલે એમને ઘરે આવવું પડ્યું, નહીતર તો હું ભલી ને મારું ગામડાનું ઘર ભલું. બાકી આ વહુ એ તો ગોકળઆઠમના દહાડે જ ઘરમાં હોળી સળગાવી.
પરંતુ ગોકળઆઠમની યાદ સાથે જ જશોદાબેન અતીતમાં સરકી પડ્યાં અને તેમને ચાલીસ વર્ષ પહેલાંની એ ગોકળઆઠમ યાદ આવી ગઈ, જયારે માલવ બે વર્ષનો હતો. માલવ તેમનો એક નો એક દીકરો અને વળી કેટલીય માનતાઓ અને બાધા આખડીઓ પછી ભગવાને દીકરો આપેલ. એટલે સાત ખોટના દીકરા માલવને જશોદાબેન ખૂબ લાડથી ઉછેરતાં હતાં.
ક્રમશઃ...