Judgemental
અંગ્રેજીનો પેલો શબ્દ છે ને "જજમેન્ટલ" બસ એ જ બની જતા હોય છે લોકો, જ્યારે એ કોઈ હેન્ડિકેપ વ્યક્તિને જોવે. અરે બિચારો, અરે બિચારી ..બસ આવા જ શબ્દો નીકળે લોકોના મોઢેથી. જો કે આ તો મોટી ઉંમરના લોકો દ્વારા બોલતા શબ્દો છે જે લોકો જુનવાણી વિચાર ધરાવે છે પણ મારી તમારી ઉમરના યુવાન છોકરા છોકરીઓ પણ આ વિચારધારાથી બાકાત નથી હા બસ એ લોકોના જજ કરવાના ક્રાઇટરિયા અલગ હોય છે.
યુવાનો જે ઓપન માઈન્ડ હોવાના દાવા કરે છે એ જ લોકો કોઈ પગ કે હાથથી અથવા આંખથી દિવ્યાંગ વ્યક્તિને જોઈને તરત જ ધારી લે છે કે આને શું ખબર પડતી હશે પ્રેમ, સંબંધો, બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ આ બધી વાતોમાં. આ બધી લાગણીઓની સમજ આના જેવા વ્યક્તિમાં ક્યાં હોવાની. પણ આજનો પ્રેકટિકલ યુવાન એ વાત ભૂલી જાય છે કે જેમ સોશીયલ મિડીયા નો ઉપયોગ કરવા અને માણસના ભણેલા હોવા સાથે કોઈ લેવાદેવા નથી એ જ રીતે હાથ, પગ કે આંખોની દિવ્યાંગતાને પણ એ માણસના મનની લાગણીઓ સાથે કોઈ લેવાદેવા જ નથી.
હા કોઈ માણસ હાથ,પગ કે આંખથી દિવ્યાંગ હોઇ શકે પરંતુ એના મનમાં પણ એટલી જ સહજ રીતે બધી લાગણીઓ ઉદભવતી હોય છે જેટલી એક શારીરિક રીતે સ્વસ્થ માણસના મનમાં ઉદ્દભવે. એક દિવ્યાંગ વ્યક્તિના શોખ, એની ઈચ્છાઓ અને જીવનના દરેક તબક્કે ઉદભવતી એની લાગણીઓ પણ એક સ્વસ્થ વ્યક્તિ જેટલી જ સામાન્ય હોય છે પછી એ લગ્ન સંબધં સાથે જોડાયેલી હોય, પ્રેમ, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જેવા સંબંધ સાથે જોડાયેલી હોય કે પોતાના કરિયર સાથે જોડાયેલી હોય.
દરેક દિવ્યાંગ વ્યક્તિ પોતાના જીવનમાં મળેલી આ તકલીફમાંથી નીકળવા માટે અને પોતે એક સ્વસ્થ વ્યક્તિ જેટલી જ લાગણીઓ અને માનસિક ક્ષમતા ધરાવે છે એની સાબિતી આપવા એટલી જ મહેનત કરતો હોય છે, જેટલી એક શારીરિક રીતે સ્વસ્થ વ્યક્તિ પોતાના ચહેરા પર પડેલા ખીલના ડાઘ કે અન્ય કોઈ વર્ષો જૂના શરીર પર પડેલા ડાઘને દૂર કરવા કરતો હોય છે. અરે કે "પ્રાંજલ પાટીલ, દીપા મલિક,રાજેન્દ્ર જૈન, અરુણીમાં સિન્હા" અને બીજા કેટલાય એવા દિવ્યાંગ વ્યક્તિઓ છે જેમને દિવ્યાંગ હોવા છતાં દેશને પ્રસિદ્ધિ અપાવી છે. પણ અફસોસ, કે આટલી મહેનતથી દેશ માટે મેડલ જીતી લાવનાર આ વ્યક્તિઓના જીવનમાં ડિસએબલ હોવાનો ટેગ હજુ પણ એમના નામની આગળ લગાવાતો જ રહે છે.
ખબર નહિ લોકો એ કેમ નહિ સમજતા હોય કે દિવ્યાંગ વ્યક્તિને એની તકલીફ નહિ પણ પોતાના નામ આગળ લાગતો આ ટેગ વધારે ખૂંચતો હોય છે. ગમે તેટલા ઊંચા અવાજે દિવ્યાંગ વ્યક્તિને "ડિફ્રન્ટલી એબલ્ડ" કહી ને એને સત્વનાં આપવાના પ્રયાસ કેમ ન કરતા હોય, પરંતુ જ્યાં સુધી વાતે વાતે એના નામ આગળ લગાવવામાં આવતા આ ટેગને દૂર કરીને એના અસ્તિત્વને એક સામાન્ય વ્યક્તિની જેમ સ્વીકારવામાં નહિ આવે ત્યાં સુધી કોઇપણ દિવ્યાંગ વ્યક્તિના મનને ખુશી નહિ જ આપી શકાય.
-divyamodh