સરસ્વતીચંદ્ર નો ગૃહત્યાગ
પિતાજી ને ઉદ્દેશી પત્ર
“પિતાજી, હવે મ્હારી ચિંતા કરશો નહીં, મ્હારી પાછળ ખેદ કરશો નહીં. સર્વ કોઈ મોડું વ્હેલું જવાનું છે અને તે પાછું ન મળે એવું થવાનું છે. ચંદ્રબા ગઈ તેમ હું જાઉ છું. એ એક દિશામાં ગઈ. હું બીજીમાં જાઉં છું. એ સ્મરણમાંથી ખસી તેમ મને ખસેડજો. સંસારમાં ડાહ્યા માણસોનો માર્ગ એ છે કે ગયેલું ન સંભારવું. પિતાજી, હવે તો
સુખી હું તેથી કોને શું ?
દુઃખી હું તેથી કોને શું ?
જગતમાં કંઈ પડ્યા જીવ,
દુઃખી કંઈ, ને સુખી કંઈક !
સઉ એવા તણે કાજે
ન રોતા પાર કંઈ આવે !
કંઈ એવા તણે કાજે,
પિતાજી, રોવું તે શાને ?
હું જેવા કંઈ તણે કાજે,
પિતાજી રોવું તે શાને ?
નહી જોવું ! નહીં રોવું !
અફળ આંસું ન ક્યમ લ્હોવું ?
ભુલી જઈને જનારાને,
રહેલું તે નંદવું શાને ?
સુખી હું તેથી કોને શું ?
દુઃખી હું તેથી કોને શું ?
"પિતાજી, બીજું શું લખું ? મ્હારા ગયાથી આાપના ઘરમાં હું શીવાય કંઈ ચીજ ઓછી થઈ લાગે તો ચંદ્રકાંત આપશે. તેને કહેજો. લો. હવે તો આપના ચિત્તમાંથી પણ આપને સુખી કરવા સારુ જ ખસી જવા ઈચ્છનાર"
- સરસ્વતીચંદ્ર
અવતરણ
નવલકથા સરસ્વતીચંદ્ર
લેખક: શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી