"પારકા ને પોતાના કરવા કંઈ સહેલું નથી"
જ્ઞાતિ ના એક છોકરા નું માગું આપણી દિકરી માટે આવ્યુ છે. મૂરતિયો સુંદર છે, ભણેલો છે, બિઝનેસ કરે છે, મોટા કુટુંબ માં રહેલો છે, ને માબાપ નો એકનો એક દિકરો છે... આની સાથે આપણી દિકરી ના લગ્ન થશે તો એ ઘણું સુખ અને પ્રેમ પામશે... એ વિચારી ને જ કદાચ માબાપ પોતની વહાલી દિકરી ને તદ્દન અજાણ્યા કુટુંબ માં પરણાવી દે છે.
અરે વાહ, બહુ સરસ ઘર ગોત્યું તમે, તમારી દિકરી માટે... "સાસરે રાજ કરશે" આવુ સૌ સગા સંબંધી અનુમાન લગાડે છે.
વાત તો સાચી લાગે છે ને...? મોટુ ઘર, સુંદર, સમજુ કમાઊ પતિ, હાઈફાઈ રહેણી-કરણી, પછી બીજુ શું જોઇએ? આટલું બધું તો સુખ પામશે આવનાર વહુ.
શું પામશે એનો હિસાબ તો બધા એ લગાડી દીધો સાહેબ... ચાલો આજે એ શું શું ગુમાવશે એની આપણે સૌ નોંધ કરીયે...
(૧) માબાપ ને ઘેર કોઇપણ નવી વસ્તુ આવે ત્યારે હક્ક થી કહેનારી ' આ તો હું જ વાપરીશ' ને જ્યારે સાસરે પહેલે જ દિવસે સાસુ નવી ચાદર કાઢીને પોતાના દિકરા ને આપે અને દિકરા ની જુની ચાદર વહુ ને ઓઢવા આપે ત્યારે તે પોતાનું "વર્ચસ્વ" ગુમાવે છે.
(૨) કોલેજ ની પિકનિક પર જતી દિકરી, મમ્મી ને પોતાની બેગ ભરવાનું કામ ચીંધી બેફિકર થઈ ટીવી જોતી રહે... એ દિકરી જ્યારે સાસરે બહારગામ જતા પોતાની સાથે પતિ ની પણ બેગ બહુ ચીવટ રાખી ને ભરતાં શીખી જાય છે ત્યારે તે "નિર્ભરતા" ગુમાવે છે.
(૩) 'હું આજે મોડી આવીશ, મારે પિકચર જોવા જવાનું છે' એમ કહીને સડસડાટ ઘર ની બહાર ચાલી જતી દિકરી, જ્યારે પતિ અને સાસુ પાસે બે દિવસ પિયરે રોકાવાની રજા માગે ને ત્યારે તે પોતાની " સ્વતંત્રતા" ગુમાવે છે.
(૪) મમ્મી જોડે કેટલુંય લડ્યા પછી પણ એજ મા ને હાથે વ્હાલ થી ભરપેટ જમતી દિકરી ને જ્યારે સાસરે 'જયા પાર્વતી' કે ' દિવાસા' ના ઉપવાસ ને જાગરણ પછી કોઇ ચા નાસ્તા નું પૂછનાર ન દેખાય ત્યારે તે " મમતા" ગુમાવે છે.
(૫) પપ્પા ની એ હોંશિયાર દિકરી ને જ્યારે એના પપ્પા પોતાની બધીજ મુડી, રોકડા, દાગીના, ઘર ના કાગળિયા વિગેરે ની માહિતી આપતા એમ કહે છે આ બધું તારું જ છે બેટા... એ દિકરી ના સાસુ સસરા જ્યારે બહારગામ જતા કબાટ ની ચાવી સાથે લઈ જાય છે ત્યારે તે " વિશ્વાસ" ગુમાવે છે.
(૬) બાપે બેંક ની લોન લઈને ભણાવેલી દિકરી ના ભણતર ની જ્યારે સાસરિયા મજાક ઉડાવે છે ને ત્યારે તેનું "સ્વાભિમાન" ગુમાવે છે.
(૭) પપ્પા ના ઘરે હસતી રમતી દિકરી જ્યારે પતિ ના ઘરે ઉદાસ થઈ જાય છે ત્યારે "આજે મુડ સારો રાખજે સમજી, આજે ઘરે મહેમાનો આવે છે, હસતી રહેજે" એવી સલાહ તેનો પતિ આપે છે ત્યારે તે પોતાની લાગણી વ્યક્ત કરવાનો "હક્ક" ગુમાવે છે.
આમ દિકરી પારકે ઘેર પુત્રવધુ બનીને જાય છે ત્યારે વર્ચસ્વ, નિર્ભરતા, સ્વતંત્રતા, મમતા, વિશ્વાસ, સ્વાભિમાન અને હક્ક એમ કેટકેટલું ગુમાવે છે.
સાહેબ, કોક દિ તમે પણ પોતાને સાસરે મહિનો રોકાઈ જોજો, પછી ખબર પડશે કે "પોતાનાં ને પારકાં અને પારકાં ને પોતાનાં" કરવા કંઈ સહેલાં નથી...