અઘરું છે પણ સાચું છે
ટીમ મેમ્બર્સ જો જીવનમાં કોઈ અથાગ વ્યક્તિગત આનંદ કે વ્યથામાંથી પસાર થઈ રહ્યા હોય તો ટીમ પરફોર્મન્સ પર અસર પડે છે.
21વર્ષની કારકિર્દીમાં મેં પોતાના કામમાં શ્રેષ્ઠ કહી શકાય એવા માણસને અચાનક એકદમ તળિયાની કક્ષાનું પરફોર્મન્સ આપતા જોયાં છે.
કારણ?
એમની જિંદગીમાં કંઈક એવી પરિસ્થતિ છે જે ખુબજ આનંદદાયક છે કે ખુબજ કષ્ટદાયક છે, જે તેઓ પોતાની પ્રાથમિકતા બનાવીને બેસી જાય છે અને એમનું પ્રોફેશન સેકન્ડરી બની જાય છે. પછી કાર્ય સ્થળે એમનું પરફોર્મન્સ એકદમ ઉતરતી કક્ષાનું થઈ જાય છે.
આ પરિસ્થતિમાં એમ્પ્લોયર મૂંઝવણમાં આવી જાય કે આ માણસને જૂના પરફોર્મન્સના લીધે રાખું કે હાલના પરફોર્મન્સ માટે કાઢી મૂકું.?
એક ખુબજ હોંશિયાર ટીમ મેમ્બર ૨ વરસનો ટ્રેક રેકોર્ડ, અચાનક કામમાં ભૂલો, પણ ભૂલ સ્વીકારે નહીં, બીજા ટીમ મેમ્બર્સ સાથે ઝગડે, મેં એને મનોવૈજ્ઞાનિક ને મળવા કહેલું પણ ત્યારે ક્યાં માણસને ખબર હોય છે કે શું થઈ રહ્યું છે એની જોડે. છેવટે એણે નોકરી છોડી દીધી, લગભગ ૧૨ મહિને ક્યાંક મળ્યો અને એણે સ્વીકાર્યું કે સગપણ તૂટવાથી તનાવમાં આવી ગયો હતો, બીજે લગ્ન થયા પછી ભાઈ શાંત પડ્યા.
એક બીજા કેસમાં એક ટીમ મેમ્બર ખુબજ જોરદાર પરફોર્મન્સ આપી પછી સાવ તળિયે બેસી ગયા, એને પણ મારી જોડે અને ક્લાયન્ટ જોડે ઝગડા થાય, ૬ મહિના સુધી સહન કર્યું, એને છેવટે આદર પૂર્વક વિદાય કર્યા. એમની પત્નીને કુસુવાવડ થયેલું, પત્ની તનાવમાં એટલે પતિદેવ તનાવમાં આવ્યા, નુકસાન અમે ભોગવ્યું, સારો માણસ ગયો અને એક ક્લાયન્ટ પણ.
એવું એક ત્રીજા કેસમાં થયું જ્યાં જૂના એક સહકર્મી કામ કરતા વ્યક્તિને પોતાની જ કંપનીમાં હું લાવ્યો ,જૂની કંપનીમાં તેઓ ખુબજ હોંશિયાર અને સુપર પર્ફોર્મ કરતાં, બધા ખુશ હતા એમના કામથી. પણ અહીં ૬ મહિના સુધી કામમાં કોઈજ પરિણામ નહીં, જે કામ લે એ પૂરું જ ન થાય. છેવટે એમને જતું કરવું પડ્યું, એમની પારિવારિક જવાબદારીઓ વધી એટલે કામ પર ફોકસ કરવાનું રહી જતું.
અન્ય એક કેસમાં એક વ્યક્તિ કામ પર ફોકસ નહોતા કરી શકતા, અવાર નવાર રજાઓ લે, પછી સાંજે લેટ બેસી કામ કરે પણ કામ થાય નહીં. કામ અધૂરું પણ કલાકો વધુ. ઘણું કાઉન્સિલ કરીને છેવટે રજા આપી કે ભાઈ નહીં પોસાય. એમને પ્રેમ થઈ ગયેલો🙂
ધંધામાં ફકત સીધા ધંધા સાથે સંકળાયેલા બાબતો સાંભળી લેવી સરળ લાગે છે, કસ્ટમર લાઓ, કામ કરો, પૈસા લો, ટેકસ ભરો અને વધે એ પાછું ધંધામાં રોકાણ કરો. પણ જ્યારે માણસો સબંધી જટિલ સમસ્યાઓ આવે ત્યારે મગજ સાથે મન પણ વિચલિત થઈ જાય છે.
એટલું જરૂર કહીશ કે વ્યવસાયિક અને વ્યક્તિગત જીવન જુદું રહે તો સારું, જો વ્યક્તિગત જીવનના લીધે વ્યવસાયિક જીવન બગડે તો નુકસાન એકને નહીં અનેકને થાય છે.
- મહેન્દ્ર શર્મા ૧૨.૧૧.૨૦૨૨