રઘુકુળ ભૂષણ દશરથ નંદન ભગવાન શ્રી રામ એટલે આપણા સૌનાં હૃદય માં બિરાજમાન રામ. મર્યાદા પુરુષોત્તમ ભગવાન એક માનવ સહજ જીવન નું આ પૃથ્વી પર નું ઉત્તમ ઉદાહરણ છે.એક દીકરો કેવો હોય,એક રાજન કેવો હોય,એક શિષ્ય કેવો હોય ,એક વચન પાલન પુત્ર કેવો હોય અરે આખરે એક શ્રેષ્ઠ માણસ કેવો હોય એનું આ અખિલ બ્રહ્માંડ નું ઉત્મોતમ ઉદાહરણ રામ છે. તમારા અને મારા ઘટ માં કોઈ બિરાજમાન છે તો એ એક નામ માત્ર રામ જ છે .
દોમ દોમ સાહ્યબી જેમના કર્તવ્ય પથ માં બાધા નથી બની , ચક્રવર્તી સમ્રાટ પણું પણ જેને સામન્ય વ્યવહારુ માણસ બનતા રોકી નથી શક્યું,રામ એ ખુબ જ સાંપ્રત છે. અસ્પૃશ્યતા જેને સ્પર્શી નથી શકી ,પછાત પીડિત લાચાર દરેકના હૃદયનો અવાજ રામ છે .તમારા ખોળિયામાં રામ નથી તો તમારું અસ્તિત્વ નથી.તમારા શબ્દો અરે રામ કે હે રામ શબ્દ છે તો એ તમારી કરુણા છે .રામ સતત મર્યાદા માં જીવતું એવું વ્યક્તિત્વ છે જે અનંત કાળ સુધી જનમાનસ માં વ્યાપ્ત રહેશે.ન્યાય નીતિ કર્મ ધર્મ નું ખુબ ઊંચું કહી શકાય એવું અવ્યાખ્યાઈત વ્યક્તિત્વ એટલે રામ.રામ સંયુક્ત પરિવાર ની વિભાવના છે ,રામ પુત્ર મોહ,રાજ્ય મોહ કે પત્ની મોહ કે પરિવાર મોહ થી ઝોઝનો દૂર છે અને છતાંય દરેક પાત્ર ની દરેક સંબંધ ની સૌથી નજીક છે. વ્હાલપ નો વ્યવહાર છે રામ , વચન ની વ્યથા કથા થી પર છે રામ ,રામ સામાજિક ઉથથાન નું પ્રતિક છે ,રાજકીય વ્યવસ્થા યુધ્ધ કૌશલમાં કુશળ હોવા છતાં પણ અજાતશત્રુ જેવા અજાનબાહુ રામ તખ્ત તાજના નિર્મોહી વ્યક્તિત્વ છે.રામ શબ્દો માં સમાય અને કવિતા માં કંડારાય એવું વ્યક્તિત્વ નથી પણ ભાવ જગત એમનું એવડું વિશાળ છે કે રામ ઉપર લખવા વેદવ્યાસ કે વાલ્મીકિ ની કલમ પણ વામણી પડે.એવા પરમ ચેતના ના પરિચાયક ભગવાન રામ ને કોટી કોટી પ્રણામ.
મહેશ ગઢવી "કવિ આશ"