'મનની વાત'
દગાબાજી તો રાજા રામના વખતથી થતી આવે છે, એમ કહી તેનો શિકાર બનનારને દિલાસો આપવો સરળ છે. "મનુષ્ય છે ને કેવું અદભુત પ્રાણી! દગાબાજી પણ એ કરે અને દિલાસો પણ એ જ આપે." એક વખત તેનો શિકાર બન્યા બાદ સામાન્ય જીવનપ્રવાહમાં આવતા ઘણો સમય વ્યતીત થઈ જાય છે, જ્યારે મજબૂત મનોબળ ધરાવતા લોકો ઝડપથી મૂળ જીવનપ્રવાહ સાથે જોડાય જાય છે. શોકમાં વધુ સમય બગાડવા કરતાં એમ જ વિચારવું શાણપણભર્યું છે કે દગાબાજો તો અલ્પસંખ્ય છે. થોડી નજર ઉંચી કરીને તો જુઓ, તમારા વિશાળ સમર્થકો કપરા સમયમાં એક શક્તિરૂપ બની તમને સફળતાના શિખરે જોવા માંગે છે. એમની તમારી પાસેથી ઘણી અપેક્ષા છે. આ અપેક્ષા પર કઈ રીતે ખરું ઉતરવું? - 'યોગ્ય સમયે દગાબાજોની સાફસફાઈ કરીને'. મતલબ? "હંમેશા પોતાની જ ઉપલબ્ધિઓથી આગળ વધી સર્વોચ્ચ સ્થાને પહોંચી એમને અચંબિત કરી દેવા". શું તમે આવું કરી શકશો? આવું કંઈ શક્ય બનતું હશે ખરું? બીજાને બાટલીમાં ઉતાર્યાનો ક્ષણિક આનંદ મેળવવાના બદલે 'સત્યમેવ જયતે' ના સિદ્ધાંતને વળગેલા રહેશો તો આવું જરૂર થશે, આત્મસંતોષ પ્રાપ્ત થશે. આદર્શ લોકોના જીવનચરિત્રનું પઠન, તેમણે કરેલા સંઘર્ષોમાંથી આનો જવાબ જરૂર મળશે.
✍️ વિનિત રાજા