કવિતા "મારા ખેતરને શેઢે થી"
મારા ખેતરને શેઢેથી
લ્યા, ઊડી ગઈ સારસી!
મા,
ઢોંચકીમાં છાશ પાછી રેડી દે.
રોટલાને બાંધી દે.
આ ચલમની તમાકુમાં કસ નથી,
ઠારી દે આ તાપણીમાં
ભારવેલો અગની.
મને મહુડીની છાંય તળે
પડી રહેવા દે.
ભલે આખું આભ રેલી જાય,
ગળા સમું ઘાસ ઊગી જાય,
અલે એઈ
બળદને હળે હવે જોતરીશ નંઈ...
મારા ખેતરને શેઢેથી
કવિશ્રી: રાવજી પટેલ
ઈ.સ.1939માં જન્મીને 1968માં આ દુનિયાથી વિદાય લઈ લેનાર કવિશ્રી રાવજી પટેલ ખૂબ ટૂંકું જીવ્યા, પણ માતબર સર્જન કરી ગયા. આ દૃષ્ટિએ તેમને ટૂંકું જીવ્યા એવું તો ન કહી શકાય, પણ તે ખૂબ ઝડપી જીવી ગયા એમ કહી શકાય. માત્ર 29 વર્ષની ઉંમરમાં ‘અશ્રુઘર’, ‘ઝંઝા’ જેવી બે સુંદર નવલકથાઓ, ઉપરાંત ‘અંગત’ (મરણોત્તર) કાવ્યસંગ્રહ અને કેટલીક વાર્તાઓ તથા ‘વૃત્તિ’ નામની એક અધૂરી રહી ગયેલી નવલકથા; એમ આયુષ્યના આટલા ટૂંકા સમયમાં ખૂબ સબળ સર્જન તેઓ આપી ગયા.
શ્રી રાવજી પટેલ કૃષિકવિ તરીકે પણ ઓળખાયા છે. તેના પાયામાં ઉપરોક્ત કવિતા પણ છે. આવા ભાવ સાથેનાં અનેક કાવ્યો આપણને તેમની કલમમાંથી મળે છે.
શ્રી રાવજી ના અવસાનને અડધી સદી અર્થાત 50 વર્ષથી વધુ થઈ ગયાં. છતાં આજે પણ તેમની કવિતા લોકહૈયામાં જીવે છે. તેમનું સર્જન ભાવકો અને વિવેચકો બંનેનો પ્રેમ પામ્યું છે. આજે આપણે જે કવિતાની વાત કરવાના છીએ, તે કવિતા ગ્રામ્ય પરિવેશની છે. તેમની આ કવિતા પણ ખૂબ લોકપ્રિય થયેલી છે. કવિતા ની શરૂઆત જ વિષાદથી થાય છે. કવિ લખે છે "મારા ખેતરને શેઢેથી લ્યા ઊડી ગઈ સારસી."અહીં સારસીનો અર્થ ઘણી રીતે લઈ શકાય. સારસી એટલે કોણ? ખેતરના શેઢે ચરવા આવતું પંખી? સારસ નામની પંખીના ઊડી જવાથી કવિ વિષાદમાં છે? શું સારસી એ પ્રતીક છે? જો એ પ્રતીક છે તો શેનું પ્રતીક છે?અહીં સારસી એટલે પ્રેમિકા અથવા પત્ની.
અહીં કવિ પોતાની પત્નીની વાત કરી રહ્યા છે, કેમકે ભાત લઈને પત્ની જ આવેને! પણ અહીં પત્ની ભાત લઈને નથી આવી, માતા આવી છે. તેથી તે માને કહે છે કે મા ઢોંચકીમાં છાશ પાછી રેડી દે. પત્નીરૂપી સારસી જીવનમાંથી કાયમ માટે ઊડી ગઈ છે, એટલે કવિ વિષાદમાં છે. હવે તેને ભાથાના ભોજનમાં રસ નથી, ચલમનું તમાકુમાં કસ નથી, ભલે આખું આભ રેલાઈ જાય, ગળા સુધી ઘાસ ઊગી જાય ત્યાં સુધી એને એમ જ વિરહાવસ્થામાં ખેતરમાં પડ્યા રહેવું છે.બળદો ને હળે પણ જોતરવા નથી. આ વિષાદની એક અવસ્થા થઈ.
બીજી અવસ્થા મણિલાલ હ. પટેલ નામના કવિ-વિવેચકે સરસ દર્શાવેલી. તેમણે કહેલું કે એક નવયુવાન લબરમૂછિયો યુવાન ખેતરમાં કામ કરી રહ્યો છે. એ જ ખેતરની બાજુમાં એક સુંદર સોળ વર્ષની યુવતી કામ કરી રહી છે. તેને જોઈને યુવાન તેના પ્રેમમાં પડે છે. જે છોકરાને ખેતર જવાનો કંટાળો આવતો હતો, તે હવે રોજ ખેતર જતો થયો, કામ કરતો થયો, કેમકે બાજુ ના ખેતરમાં એક સુંદર સારસી આવતી થઈ છે, પણ એ સારસી તો થોડા દિવસ પૂરતી જ હતી. કદાચ વેકેશન માણવા આવી હોય ગામમાં! અને ખેતરે આવતી થઈ હોય! યુવાન ને એકતરફી પ્રેમ થયો. એ તો ઊડી ગઈ. પેલા યુવાન ને લાગ્યું કે ઓહ! જીવનમાંથી સારસી ઊડી ગઈ. હવે જીવનમાં રસકસ નથી. આ એક break up ની કવિતા છે.આમ સારસીનું પ્રતીક તો અહીં અનેક દિશાઓ ખોલી આપે છે.
પ્રસ્તુતકર્તા: ડો.ભૈરવસિંહ રાઓલ