સીધો સવાલ...
ભેળસેળ માટે એક પણ, એક પણ ચીજ બચી નથી ત્યારે આયુર્વેદ/હર્બ્ઝની શુદ્ધતા માટે ક્લિન ચીટ કેમ? આપણી માનસિક અધોગતી જગજાહેર છે ત્યારે માત્ર આયુર્વેદ/હર્બ્ઝમાં કોઈ દિવસ કોઈ ક્યારેય ભેળસેળ થાય જ નહીં, કોઈ કરે જ નહીં એવું માનવું ગધેડાને તાવ આવવા જેવી વાત છે. કોઈ એક કેટેગરી ભેળસેળથી સંપૂર્ણ મુક્ત હોય તો બતાવો. તો આયુર્વેદના નામે ચાલતા વહેવાર પર આંધળો વિશ્વાસ કેમ?
ખાસ કરીને મર્યાદિત ઉત્પાદન અને ઉપયોગ હતો ત્યાં આપણે સુધી આંખ આડા કાન કરતા રહ્યા સમજી શકાય છે પણ જ્યારે આયુર્વેદિક દવાઓનું માસ પ્રોડક્શન થવા લાગ્યું હોય અને હાલતાં ચાલતાં આવી દવાઓનો ઉપયોગ થવા લાગ્યો હોય ત્યારે લાલ આંખ હિતાવહ જ નહીં, આવશ્યક છે.
અગણિત ઔષધ્ધિઓના ઉત્પાદન પર કોઈ સત્તાવાર નિયંત્રણ છે? આયુર્વેદના નામે બનતી અને વેચાતી 'દવાઓ'ની ગુણવત્તાનાં ચોક્કસ નિયમો છે? તેની ચકાસણી કરાય છે? આધારભૂત પ્રમાણ આપતી કેટલી લેબોરેટરીઝ દેશમાં અસ્તિત્ત્વમાં છે? આયુર્વેદિક 'દવાઓ'માં દર્શાવાતાં ઘટકોની 'વૈજ્ઞાનિક' તપાસ કરનારા અને પ્રમાણિત નિષ્ણાતો કોણ છે? મને ખ્યાલ નથી પણ જો અગણિત હર્બ્ઝની ગુણવત્તા પ્રમાણિત કરનાર કોઈ સર્વોચ્ચ સંસ્થા હોય તો સામાન્ય લોકોને તે અંગે જાણ હોવી જોઈએ.
આયુર્વેદના શાસ્ત્રોક્ત આધારનાં બહાના હેઠળ પૈસા રસ્તા મોટાભાગના લાભાર્થીઓ એક જ દલીલ કરતા હોય છે કે પ્રયોગ કરવામાં નુકશાન તો નથી ને. નુકશાન નથી હોતું એના કોઈ આધારભૂત પ્રમાણપત્ર ખરું? બધું જ ધુપ્પલ!
ક્યાંય સાંભળ્યું કે સુદર્શન ઘનવટીમાં ભેળસેળ પકડાઈ? એક ચૂર્ણમાં દસ-બાર હર્બ્સ હોવાનો દાવો કરાયો હોય એ બધા તત્ત્વો શુદ્ધ માત્રામાં છે કે નહિ એનું પ્રમાણપત્ર હોય છે ખરું? લોહભસ્મની શુધ્ધતા અને પ્રમાણ જળવાય છે એ કોણ નક્કી કરે છે? કોઈ 'દવા'માં પારો હોય છે તો એ કયો છે કેટલી માત્રામાં છે એ નોધાય છે? મારું માનવું છે કે આયુર્વેદિક ઔષધ્ધીઓમાં ભલે નિર્દોષ અને હાનીકારક ન હોય એવાં તત્ત્વોની ભેળસેળની શક્યતાઓ અને અવકાશ વધુ રહે છે....ખાસ કરી ને કોઈ ચોક્કસ રજિસ્ટર્ડ બ્રાન્ડ સિવાય સાદાં લેબલ અને છૂટક વેચાતી દવાઓ અને ઔષધ્ધિઓ તરફ શંકા જાય, શંકા થતી જોઈએં.
કોઈ દૂધે ધોયેલ નથી તો આયુર્વેદના નામે ચાલતો વેપલો દૂધે ધોયેલ હોવાની શક્યતા નહીંવત છે.
કોઈ આયુર્વેદ ઉત્પાદન એકમો કે ગૃહ ઉદ્યોગમાં દરોડા પડ્યા હોવાનું સાંભળ્યું છે?...મને તો બધું અત્યંત શંકાસ્પદ અને રામભરોસે જ ચાલતું હોય તેવું લાગે છે. હું ખોટો પણ હોઉં. હશે બે-પાંચ જેન્યુઇન ઉત્પાદકો પણ ભરોસો નથી પડતો. આધાર અને પૂરવા વિનાની 'દવાઓ' હોય છે એટલે.
એલોપથીની દરેક દવાઓ પર કડકમાં કડક નિયંત્રણો જેવાં નિયંત્રણો આયુર્વેદિક ઉત્પાદનો પર ન હોય તો તે અસ્વીકાર્ય હોવાં જોઈએ.
આયુર્વેદની બે મોટી ખામીઓ છે 1) રોગ પર અસરકારકતાના પૂરાવાનો અભાવ. 2) તત્ત્વો અને ઘટકો માટે આધારભૂત ચકાસણી અને નિયંત્રણ. અને એટલે જ, આયુર્વેદ શાસ્ત્ર છે, વિજ્ઞાન નથી. સન્માન અને પ્રયોગ કરાય, આંધળો વિશ્વાસ ન મૂકાય.
(ખરેખર નિયમોમાં રહી શુદ્ધતાનો ખ્યાલ રાખતા લોકોએ પાઘડી પહેરી લેવી નહીં.)
-મહેશ ઠાકર