ઉઠતા અહંને ઓગાળીને હરિના શરણે જાઉં હું.
ને સંયમ નિયમને પાળીને હરિના શરણે જાઉં હું.
ખૂબ અટવાયો છું માયાગ્રાસે સારાસાર ગુમાવીને,
પશ્ચાતાપે પાતક બાળીને હરિના શરણે જાઉં હું.
ના રતિ હરિ સિવાય અન્યમાં મારી રહેવાની નક્કી,
મોહનિશા દીસતી કાળીને હરિના શરણે જાઉં હું.
ગઈ ગુજરી મારી હું ભૂલ્યો હરિ તારે ભૂલવાનીને,
જાગ્યા ત્યાંથી ભોર ગણીને હરિના શરણે જાઉં હું.
મન થયું નિર્મળ નીર સમું જ્યાં નિજતા દેખાતી,
ભક્તવત્સલતાને વિચારીને હરિના શરણે જાઉં હું.
લેજે શરણે દીનબંધુ મારી દીનતાને સ્વીકારીને
પતિત પાવન છો જાણીને હરિના શરણે જાઉં હું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.