વિશ્વમાં અનેક જગ્યાઓ છે, જયાં લોકો ફરવા જવાનું પસંદ કરે છે. પરંતુ કેટલીક જગ્યાઓ એવી પણ છે કે જે પોતાની સાથે કોઈક રહસ્ય લઈને બેઠી હોય છે. આજે ફરીથી એક જગ્યાએ ફરવા લઈ જાઉં છું. આમેય હમણાં ઘરમાં બેસીને ફરવું જ સારુ છે. ચાલો, જઈએ ફરવા આજે રશિયા.
રશિયામાં આવી જ એક રહસ્યમય જગ્યા છે. આ જગ્યા માટે એવું કહેવાય છે કે જે જાય તે પાછું આવતું નથી. રશિયાનાં ઉત્તરી ઓસેટીયામાં આવેલુ દર્ગાવ્સ ગામ એ મૃતકોનાં ગામ તરીકે ઓળખાય છે. અહીં એક સુમસામ જગ્યા છે, ત્યાં કોઈ અવરજવર નથી થતી. આ વિસ્તારમાં જતાં સૌ કોઈ ગભરાય છે.
ઊંચા ઊંચા પહાડોની વચ્ચે આ ગામમાં નવ્વાણું ઘરો આવેલાં છે. તેમનો આકાર ઝુંપડી જેવો છે. આ તમામ ઘરો સફેદ પથ્થરોથી બનેલા છે. આ ઘરોની નીચે ઘરનાં માલિકોએ પોતાનાં સ્વજનોના મૃતદેહ દફનાવેલા છે. જેમાંના ઘણાં મકાન ચાર માળ ધરાવે છે.
આ કબરો સોળમી સદીમાં બની હોવાનું મનાય છે. માન્યતા અનુસાર આ ઈમારત કોઈ એક જ પરિવાર સાથે જોડાયેલ છે, જેમાં ફક્ત પરિવારનાં સભ્યોને જ દફનાવેલ છે. અહીંનું રહસ્ય જાણવા અવારનવાર બધાં લોકો મુલાકાત લેતા રહે છે, પરંતુ ત્યાંનાં સ્થાનિક રહેવાસીઓનાં મતે આ ઝુંપડીઓની ગુફાઓમાં જે કોઈ ગયું તે પાછું આવ્યું નથી.
આ જગ્યા પહાડોની વચ્ચે આવેલી હોવાથી ત્યાં પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે. પુરાતત્ત્વ વિભાગનાં જાણકારો અનુસાર તેમને આ સ્થાનેથી કબરોની પાસેથી હોડી અને દરેક કબરની સામે એક કૂવો મળેલ છે.
ત્યાંનાં રહીશોની માન્યતા છે કે મૃતાત્માને સ્વર્ગ સુધી પહોંચવા માટે નદી પાર કરવી પડે છે. કદાચ આ લોકો પણ એવું જ માનતા હશે. આથી મૃતદેહને નાવડી પર મૂકી દફનાવવામાં આવ્યાં હશે.
આ ગામની માન્યતા અનુસાર કબર સામે કૂવો ખોદવો એટલાં માટે જરુરી છે કે આત્મા સ્વર્ગ સુધી પહોંચ્યો કે નહીં તેની ખબર પડે. ત્યાંના સ્થાનિકો અનુસાર પરિવારજનોને દફનાવ્યા પછી કૂવામાં સિક્કો નાખવામાં આવે છે. જો સિક્કો કૂવાની નીચે પથ્થર પર અથડાવાનો અવાજ આવે તો આત્મા સ્વર્ગમાં પહોંચી ગયો એમ માનવામાં આવે છે. જો પથ્થર સાથે નહીં અથડાય તો એમનાં મતે આત્મા ભટકતો રહે છે.
વાંચવા બદલ આભાર.
સૌજન્ય:- ઈન્ટરનેટ
- સ્નેહલ જાની