‘કવિતાની રચના તો એક સાહસ છે જ, પણ કવિતા વિશે લખવું એય કાંઈ જેવું તેવું સાહસ નથી; તેમાંય સમકાલીનોની કવિતા વિશે લખવું એ તો દુસ્સાહસ જ ગણાય. આ જાણવા છતાં એવું દુસ્સાહસ શા માટે કર્યું તેની કેફિયત આપવી ઘટે. કાવ્યના રસાસ્વાદને અપ્રસ્તુત એવા અનેક પ્રશ્નોની ‘વિદ્વત્તાપૂર્ણ’ ચર્ચાઓ તદ્વિદો કરતા રહે, પણ એમની પરિભાષા પોતે જ વાડ બનીને પૃથક્જનને કાવ્યથી દૂર રાખે તો સરવાળે કાવ્યનેય કશો લાભ ન થાય. પૃથક્જન કાવ્યથી દૂર જ જતો જાય, કાવ્યમાં દુર્બોધતાની ફરિયાદ થવા લાગે, કવિ પણ પોતાના અલગારીપણાને ખુમારીથી માણતો થઈ જાય; કાવ્ય અને એના ભાવક વચ્ચેનું અન્તર વધતું જાય ત્યારે વિવેચકને માથે એ બંને વચ્ચે મધ્યસ્થનું કાર્ય બજાવવાનું આવે. રસમીમાંસાની શાસ્ત્રીય પરિભાષાના ચોકઠામાં કાવ્યને તરકીબથી ગોઠવી આપવાને બદલે, જાણે પોતે કાવ્યના સર્જનની પ્રક્રિયાનો સાક્ષી હોય એ રીતે, એની રચનાપ્રક્રિયાનો પ્રત્યક્ષ પરિચય કરાવવાનો એણે પ્રયત્ન કરવો ઘટે. વ્યવહારના અનુભવમાંથી પ્રાપ્ત થતાં ઉપાદાનને કવિ પોતાની વિશિષ્ટ શક્તિથી આગવું રૂપ આપીને રસાસ્વાદની સામગ્રીમાં કેવી રીતે પલટી નાંખે છે તે એણે બતાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.’--– સુરેશ હ. જોષી