ઉપદેશ લીધાં પછી મૌન થઈને રહેવું ને,
રાખવું નિજસ્વરૂપમાં ધ્યાન રે,
ભેદવાદી સાથે બેસવું નહી ને
કથવું નહી અનુભવ કેરું જ્ઞાન રે - ટેક
વાદ વિવાદમાં ઉતરવું નહી ને,
કરવો સાચા સંતનો સંગ રે,
રહેણીમાં રહેવું રહેણીમાં ચાલવું ને,
ત્યાગવો માયા કેરો રંગ રે - ઉપદેશ
નિત્ય કરવું સમરણ નિજસ્વરૂપનું ને,
સુરતામાં રાખવું નિજનામ રે,
મન કર્મ વાણીને નિર્મળ રાખીને,
કરવા વહેવારના સઘળા કામ રે - ઉપદેશ
હું ને મારું મટી જાય જોને,
ત્યારે ખરા ઉપદેશી કહેવાય રે,
આવો સરળ બોધ છે જ્ઞાનયોગનો ને,
એતો સહજપણામાં સમજાય રે - ઉપદેશ
રાગ દ્વેષ કોઈના પર ન આણીએ ને,
રાખવી સમદ્રષ્ટિ વિશેષ રે,
દાસ દીપક કહે ગુરુના પ્રતાપે,
ત્યારે અહંકાર રહે નહી લેશ રે - ઉપદેશ