આ કપરાકાળમાં
ઘેર ઘેર
સમાંતરે જીવાય છે જીવન
બે પ્રકારે .
એક વડિલોનું જીવન
બીજૂં , તે સિવાયનાં સહુનું જીવન.
બીજો વર્ગ જીવી રહ્યો છે
ઉંબરની બહાર કામકાજ કરતાં,
કોઇક વળી મસ્તી કરતાં.
અને
પહેલા વર્ગનું જીવન વીતી રહ્યું છે
ઉંબરની અંદર બેઠાં
એમની ચિંતા કરતા.
બીજો વર્ગ કંટાળ્યો છે અનિશ્ચિતતાથી.
અસલામતીના ભયને ભૂલીને
એ ઉંબર બહાર આવ્યો છે ,
કોઇક આવ્યા છે જવાબદારી અદા કરવા,
તો કોઇક વળી
બેફિકરાઇ, બેપરવાઇ કે બેદરકારીથી
જીવનને માણી લેવા.
ઉંબરની અંદર છે એમનું જીવન
એમનું પોતાનું ક્યાં છે ?
એ તો આધારિત છે
આ ઉંબર બહાર નીકળેલાની સલામતી પર.
આમ તો
જે બહાર અસુરક્ષિત છે
એ ચિંતિત હોવા જોઇએ
એને બદલે જે અંદર સુરક્ષિત છે
એ ચિંતિત છે.
એક જ ઉંબરની બે બાજૂએ જીવાય છે
બે નોખા જીવન.
ક્યાંક સંઘર્ષ પણ છે
ક્યાંક ઉપેક્ષા કે અવજ્ઞા પણ છે.
જે બહાર છે એમને ઉંબર યાદ નથી આવતો
ને જે અંદર છે એ જીવે છે જ
ઉંબર પર.
આ કપરોકાળ
નવી જ ઓળખ કરાવે છે ઉંબરની,
જીવનની.
- તુષાર શુક્લ