આજે જ્યારે નવી પેઢી વાર તહેવારને ભુલતી જાય છે ત્યારે એમ વિચાર આવે છે કે ભવિષ્યમાં આપણી આ મહાન સંસ્કૃતિ સાચવશે કોણ? આજની પેઢી માટે તહેવાર એટલે તૈયાર થઈને મોજ મસ્તી કરવી, ડાન્સ કરવો, પાર્ટી કરવી. ભક્તિ ભાવ દેખાતા નથી. ગણેશજીના આગમન અને વિસર્જન વખતે જે દેખાડો કરવામાં આવે છે તે જોઈને તો એમ જ લાગે છે કે આમાં ભક્તિ ઉમેરાશે કે નહીં?
કેટલીક જગ્યાઓએ તો મેં જોયું છે કે લોકો પ્રસાદમાં પણ દેખાડો કરે છે. સોસાયટીના સભ્યો વધારે હોવાથી બધાનો વારો રાખવામાં આવે છે. જેનો વારો હોય એ બીજા કરતાં પોતે વધુ સારો અને મોંઘો પ્રસાદ ધરાવ્યો છે એ સાબિત કરવામાં વ્યસ્ત હોય છે.
આ વખતે કોરોના મહામારીને લીધે જ્યારે તહેવાર ન ઉજવી શકાયા તેનું દુઃખ તો થયું જ, પણ એવું લાગ્યું કે જાણે ભગવાને એક વર્ષ શાંતિથી રહેવું હતું. આ વર્ષે ખરેખર એવું લાગ્યું કે લોકોએ દેખાડો કરવાને બદલે સાચા મનથી ભક્તિ કરી. બધાએ તહેવારો પોતાનાં ઘરમાં જ ઉજવ્યા એટલે કોઈને પણ બીજાને બતાવવાનું હતુ નહીં કે અમે તો આમ કર્યું ને અમે તો તેમ કર્યું.
આશા રાખું કે આમાંથી માનવી કંઈક શીખે. ભગવાન પ્રેમ અને ભાવનાં ભૂખ્યા છે, નહીં કે ખોટા દેખાડાનાં. મનમાં સાચા ભાવથી કરેલ પ્રાર્થના ભગવાન સાંભળી જ લે છે, એમને માટે મોટા મોટા અવાજે સ્પીકર વગાડવાની કોઈ જ જરુર નથી. સ્પીકર વગ઼ાડનર ક્યારેય એ નથી જોતાં કે કોઈનાં ઘરમાં બાળક ભણે છે કે કોઈનાં ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર છે કે પછી કોઈનાં ઘરમાં વડીલો મોટો અવાજ સહન નથી કરી શકતાં.
ભગવાનની ભક્તિ તો શાંત વાતાવરણમાં જ થાય, ઘોંઘાટમાં તો ભગવાન પણ અકળાઈ જતા હશે.