અહિંસા દરેક જગ્યાએ કામ આવતી નથી. ક્યારેક તો સામે થવું જ પડે છે. જ્યારે વાંક વગર કોઈ આપણને ફસાવે ત્યારે હિંસક વલણ અપનાવવું પડે, નહીં તો ગુનેગાર સાબિત થઈ જઈએ. જો માત્ર અહિંસાથી જ કામ ચાલી જતું હોત ને તો ભગવાને માનવ મનમાં હિંસાનો ભાવ ક્યારેય પેદા થવા જ ન દીધો હોત.
જો ભગવાન રામે શસ્ત્રો ન ઉઠાવ્યા હોત તો રાક્ષસોનો નાશ ન થયો હોત. પરશુરામ જેવા બ્રાહ્મણે પણ શાસ્ત્રોને બદલે શસ્ત્રો ઉઠાવવા પડ્યા. અને શ્રી કૃષ્ણએ તો કહ્યું જ છે કે જે હિંસાથી બીજાનું ભલું થતું હોય એ હિંસા યોગ્ય જ છે. જો અહિંસાથી જ બધી જગ્યાએ કામ થઈ શકતું હોત તો એ વાંસળી વગાડવાવાળો મહાભારત થવા જ ન દેત.
ક્યારેક આપણાં પોતાનાં બાળકોને પણ સાચો રસ્તો બતાવવા આપણે મારતાં હોઈએ છીએ, તો એ હિંસા નથી. એ માર એનાં ભલા માટે જ છે. કોઈ સ્ત્રી કે છોકરી પર કોઈ બળજબરી કરવાની કોશિશ કરે અને એ સ્ત્રી કે છોકરી એનાં પર વળતો પ્રહાર કરે તો એ હિંસા નથી, સ્વબચાવ છે. અહીંયા અહિંસાનું ભાષણ આપવા ન બેસાય. અહિંસા ત્યારે જ યોગ્ય છે જ્યારે ખબર હોય કે વાત સમજાવટથી પતાવી શકાય એમ છે.
#અહિંસા