સોનું એટલું બધું ચળકદાર છે કે નાનાં મોટાં, ગરીબ અમીર સૌને આકર્ષે છે. પણ આ ચળકની મજા બધાનાં નસીબમાં નથી હોતી. કેટલાંક માટે સોનું એટલે પોતાની શ્રીમંતાઈનું પ્રતિક જ્યારે કેટલાંક માટે એક મૃગજળ, જે ક્યારેય એમનાં હાથમાં આવવાનું નથી. કેટલાંક લોકો દેખાડો કરવા માટે પોતાનું શરીર ચળકદાર સોનાથી લાદી દે છે તો કેટલાંક લોકો એને બેન્કના લોકરમાં મૂકે છે એમ વિચારીને કે તકલીફમાં કામ આવશે. વિકટ પરિસ્થિતિમાં એને વેચીને પૈસા મેળવીશું.
પણ આટલાં બધાં સોનાની ચળકદાર ભવ્યતા હોય અને ચારિત્ર્ય જ ખરાબ હોય તો? સોનું ખોટા કામ કરીને મેળવ્યું હોય તો? તો એ ગમે એટલું ચળકદાર હશે અણીના સમયે કામ નહીં આવે. મારા મત પ્રમાણે એક શુદ્ધ ચારિત્ર્યવાન, નિષ્ઠાવાન અને પ્રામાણિક વ્યક્તિની પ્રતિભાથી વધુ ચળકદાર કંઈ હોઈ જ ન શકે. આ જ બધી બાબતોની ચમક સામેવાળા વ્યક્તિને આંજી દેવા માટે પુરતી છે.
જેનું ચારિત્ર્ય શુદ્ધ છે, જેની નિયત પ્રામાણિક છે અને જેને પોતાની પાસે રહેલ વસ્તુઓથી સંતોષપૂર્વક જીવન જીવતાં આવડે છે એને ક્યારેય બાહ્ય ચમક બતાવવાની જરુર નથી. એનું ચળકદાર ચારિત્ર્ય જ સામેવાળાને ઝાંખા પાડી દેશે.
#ચળકદાર