ચાલાકી કરવી બધાને ગમે. પણ તમે કઈ ચાલાકી કરો છો એનાં પર બધો આધાર છે. કેટલાંક લોકો મગજથી ચાલાકી કરે છે તો કેટલાંક કાવતરારૂપી ચાલાકી કરવામાં પાવરધા હોય છે. ભગવાનનાં ચરણે 51 રૂપિયા ધરીને આખી જીંદગી દુઃખ વગરની માંગે એટલી ચાલાકી એક માનવી જ કરી શકે. જ્યારે ભગવાન સાથે જ આવું થતું હોય તો અન્ય લોકો સાથે આ માનવી કેટલી ચાલાકી કરતો હશે? ઘરમાં, ઑફિસમાં, મંદિરમાં - દરેક જગ્યાએ બધાં ચાલાકી જ કરે છે. ચાલાક હોવું ખોટું તો નથી જ, પણ એ ચાલાકીનો ઉપયોગ પોતાની પ્રગતિ માટે અને બીજાને મદદ કરવા માટે કરીએ તો એ ચાલાકી કરેલી સાર્થક ગણાય.
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પોતાની પ્રગતિ થાય. ઘણાં ઓછા લોકો એવા હશે કે જે એવું વિચારતાં હશે કે મારી સાથે છે એ બધાંની પણ મારા જેટલી જ પ્રગતિ થાય. મોટા ભાગના લોકો બધાંની પ્રગતિ ઈચ્છતા જ હોય છે પણ પોતાનાથી વધારે નહીં. જ્યારે બે વ્યક્તિ કોઈ એક જ બાબત માટે મહેનત કરતી હોય અને કોઈ એક બાજી મારી જાય ત્યારે બીજો પોતાની ચાલાકી વાપરીને એને નીચો બતાવવાની કોશિશ ન કરે અને સાચા મનથી એનું અભિવાદન કરે તો સમજી લેવું કે ઈમાનદાર છે.
ઘણાં એવા પણ હોય છે જે પોતે આગળ વધવા માટે પોતાનાં ઉપરી અધિકારી આગળ પોતાની ચાલાકીનું હંમેશા પ્રદર્શન કરતા રહે છે. એમાં ઘણાં ફાવી જાય છે અને જ્યારે આવું થાય છે ત્યારે જે ખરેખર મહેનત કરી રહ્યા હોય અને ઈમાનદારીથી પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યાં હોય એમને રડવાનો કે પોતાની પ્રગતિ પાછી ઠેલાતી જોવાનો વારો આવે છે. જેણે ખોટી ચાલાકી કરીને પ્રગતિ કરી હશે ને તે બહુ લાંબો સમય પોતાનાં પદ પર રહી શકશે નહીં કારણ કે એને એનાં કામ વિશે ખબર જ નહીં પડતી હોય. એને પણ ખબર હોય છે કે હું કામ કરીને નહીં પણ ચાલાકીથી આ જગ્યાએ છું. આવા લોકો સમાજ માટે ઉધઈ સમાન છે. બધી વ્યવસ્થા ખોરવી નાંખે છે.
ચાલાકી કરવી જ હોય તો એવી રીતે કરવી કે પોતાનું તો ભલું થાય જ પણ બીજાને પણ એનો લાભ મળે.
#ચાલાકી