પોતાનાં એકદમ નિકટના સ્વજન કે પ્રિયજનને ગુમાવ્યા પછી એમની કમી જીવનમાં વર્તાય છે અને એમનું સ્થાન અન્ય કોઈ લઈ શકતું નથી. હકીકત એ છે કે આપણે કોઈને લેવા દેતા પણ નથી.
આ સિવાય ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેની કમી હોય છે. કેટલીક કમી એવી હોય છે જે આપણે રૂપિયા ખર્ચીને પૂરી શકીએ છીએ અને કેટલીક કમી રૂપિયા ખર્ચતા પણ પૂરી નથી કરી શકતા. ધન, દોલત, મહેલ જેવા ઘર ન હોય તો એ કમી ન કહેવાય. જો આપણે આપણા ઘરને જ મહેલ માની લઈએ કે પછી મંદિર માની લઈએ તો એમા કોઈ પણ પ્રકારની કમી આપણને મળશે નહીં. પરંતુ જો આપણે બીજાનાં મોટા મોટા ઘરો જોઈને ઈર્ષ્યા કરતાં રહીશું તો ક્યારેય પોતાનાં ઘરમાં સુખેથી નહીં રહી શકીશું.
શરીરનાં કોઈ અંગની કમી એ ખરેખર ખૂબ જ મોટી અને દુઃખદ કહેવાય, પણ તે છતાં પણ આપણી પાસે એવાં ઘણાં ઉદાહરણો છે કે જેમાં શરીરની કોઈ અંગની કમી હોવાં છતાં પણ આ લોકો સ્વમાનભેર જીવે પણ છે અને નામના પણ કમાય છે. કેટલાય તરવૈયા, ક્રિકેટનાં ખેલાડી, હોકી ખેલાડી અને અન્ય ઘણી બધી રમતોમાં શરીરનાં કોઈ અંગની કમી સાથે પણ ભાગ લેતા ખેલાડીઓ છે. એમની પાસેથી પ્રેરણા લેવી જોઈએ કે ભલે મારી પાસે મહેલ નથી કે પુષ્કળ ધન દોલત નથી પણ શરીર તો આખું સલામત છે ને! એને યોગ્ય દિશામાં કામે લગાડી દઈએ તો ધારીએ તે કમી પૂરી કરી શકીએ.
ક્યારેક એ તો વિચારો કે જે લોકો માનસિક રીતે અસ્થિર છે એમની શું હાલત થતી હશે? એક તો પોતે કોઈને કશું જણાવવા માટે સક્ષમ હોતા નથી અને બીજું હંમેશા બીજાનાં તિરસ્કારનો ભોગ બને છે. કોઈ એમને પસંદ પણ નથી કરતું. એમની આ કમી પૂરી તો ન જ કરી શકીએ, પણ એમની સાથે વ્યવહાર તો સારો રાખી જ શકીએ ને!
જો આપણાં વિચારો હંમેશા કોઈકને નીચું જોવા પર મજબૂર કરતાં હોય, કોઈનાં સ્વમાનને ઠેસ પહોંચાડતા હોય કે પછી મજાક મજાકમાં એને ઉતારી પાડતાં હોય તો એ ચોક્ક્સપણે આપણી માનસિક ખામી છે. આવા લોકો માનસિક રીતે અસ્થિર લોકો કરતાં પણ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે.
જો આપણે એટલાં સમર્થ હોઈએ તો કોઈની જીવન જરૂરિયાતની વસ્તુઓની કમી પૂરી કરવામાં સહાય કરીએ, એ પણ એનાં સ્વમાનને ઠેસ ન પહોંચે એ રીતે.
આપણે કોઈ સંસ્થાનાં માલિક હોઈએ કે ત્યાં કામ કરતાં હોઈએ ત્યારે ત્યાંનાં પટાવાળા ભાઈઓ કે બહેનો સાથે કેવી રીતે વર્તન કરીએ છીએ એનાં પરથી ખબર પડે છે કે આપણામાં સંસ્કારો કેટલી ઉચ્ચ કોટિના છે, નહીં તો એ ખબર પડશે કે સંસ્કારોની કેટલી કમી છે. સંસ્થાના માલિક તરીકે પોતાનું વર્ચસ્વ જાળવી રાખવું જોઈએ એ હકીકત છે, પરંતુ પોતાના લીધે કર્મચારીઓને કોઈ વાતની કમી ન પડે એનું ધ્યાન રાખવું પણ એમની જ ફરજ છે.
અંતે એટલું જ કહીશ કે ભલે ઘણી બધી બાબતોમાં આપણને કમી હોય પણ ક્યારેય ઉચ્ચ વિચારો અને આપણાં સંસ્કારોમાં ક્યારેય કમી ન આવે તેનું ધ્યાન રાખીએ.
#કમી