કર્મની ગતિ ન્યારી છે. જેણે કર્મ સમજી લીધુ તેણે ધર્મ સમજવાની કોઈ જ જરુર નથી. જે કર્મ કરે છે એને વહેલું મોડું એનું ફ્ળ મળે જ છે. શ્રીમદ્દ ભગવદગીતામાં પણ કહ્યું છે ને કે, 'કર્મ કરો ફળની ઇચ્છા ન રાખો'.
કર્મ જ એવું હોવું જોઈએ કે વિધાતાએ સામેથી કહેવું પડે કે લે આ તારું ફ્ળ. આમાં બન્ને પ્રકારના ફળનો સમાવેશ થઈ જાય છે - સારા અને ખરાબ. સારા કર્મનું સારુ ફ્ળ અને ખરાબ કર્મનું ખરાબ ફ્ળ. કર્મ પ્રમાણે ફ્ળ ભૉગવ્યે જ છૂટકો.
ક્યારેક આપણને એમ થાય છે કે મેં તો ક્યારેય એવું કોઈ કર્મ કર્યું જ નથી કે મને આટલી ખરાબ પરિસ્થિતીમાંથી પસાર થવું પડે છે, પણ આપણાં શાસ્ત્રોનું માનીએ તો આપણાં દરેક જન્મનાં કર્મોનાં ફ્ળ સંચિત થતા હોય છે. સમય અનુસાર તેનુ ફ્ળ યોગ્ય જન્મમાં ભોગવવું પડે છે. માટે આ જન્મમાં તમે કંઈ જ ખરાબ કર્મ નથી કર્યું પણ આગળના કોઈ જન્મના કર્મને લીધે તમે ભોગવી રહ્યા હો. તો પણ નાસીપાસ થઈને આ જન્મમાં સારાં કર્મ કરવાનું બંધ નહીં કરી દેતા, એ સંચિત થશે અને આવનારા કોઈ જન્મમાં એનું ફ્ળ આપશે.
એક પુસ્તકમાં વાંચ્યા પ્રમાણે આપણાં કર્મોના ફ્ળ અલગ અલગ સ્વરૂપે સંચિત થાય છે. કેટલાંક કર્મનું ફ્ળ ત્વરિત મળે છે, જેમ કે ચાલતાં હોઈને ને ધ્યાન ન રાખીએ તો પડી જવાય. કેટલાંક કર્મોનું ફ્ળ થોડા સમય પછી મળે છે, જેમ કે આપણે પરીક્ષાની તૈયારી કરી હોય તેનું ફ્ળ મેળવવા માટે પરીક્ષાનું પરિણામ આવે એની રાહ જોવી પડે છે. કેટલાંક કર્મોનું ફ્ળ મેળવવા માટે કદાચ એક જન્મ કે પછી અનેક જન્મો સુધી રાહ જોવી પડે. મહાભારતના શીખંડી જન્મની વાત તો બધાને ખબર જ છે. આપણે આંબો રોપી તરત જ કેરી મેળવવાની અપેક્ષા ન રાખી શકીએ. એવું પણ બને કે આંબો રોપવાનાં આપણાં કર્મનું ફ્ળ આપણે ચાખી ન પણ શકીએ, પરંતુ જે ખાશે તેનાં આશિર્વાદ તો મળશે જ.
ઘણાં લોકો ખોટા રસ્તે જઈને ખૂબ સંપત્તિ કમાય છે, પણ એમનાં આ કર્મનું ફ્ળ તેમનાં અંત સમયે ભોગવે જ છે. ક્યાં તો લાંબા સમય સુધી કોઈ અસાધ્ય રોગોથી પીડાતા હોય છે અને ક્યાં તો પછી કમોતે મરે છે. જે સારા કર્મો કરે છે એની પાસે ભલે કદાચ સંપત્તિ ઓછી હોય, બધી વખતે એવું જરુરી નથી, પણ જો આવા લોકો પાસે સંપત્તિ ઓછી પણ હોય ને તો પણ તેમનુ કર્મ ક્યારેય અટકી જતું નથી અને વિધાતા પણ એમને યોગ્ય ફ્ળ આપવામા ક્યારેય પાછી પાની કરતાં નથી. ઘણાં લોકો પોતાની ઓફિસમાં કે પછી પોતાનાં હાથ નીચે કામ કરતાં લોકો સાથે ચાલબાજી કરીને છળકપટથી તેમને બદનામ કરવાની કોશિશ કરતાં હોય છે. જયાં સુધી તેમની આ બધી બાબતો ધ્યાનમાં નથી આવતી ત્યાં સુધી વાંધો નથી આવતો, પણ એમનાં આ કર્મનું ફ્ળ પાકવાનો સમય થાય છે પછી કુદરત પણ એમને સાથ આપવાનું છોડી દે છે અને એનું ખૂબ જ ખરાબ પરિણામ એમણે ભોગવવું પડે છે.
ટૂંકમાં, આપણો આ જન્મ અને આવનારા તમામ જન્મો જો સારી રીતે જીવવા હોય તો અત્યારથી જ યોગ્ય કર્મનું ભાથું બાંધવાની શરૂઆત કરી દેવી જોઈએ.
#કર્મ