શું શ્વાસ ચાલે છે એટલે જીવંત છે એમ કહેવાય? એમ તો જે કોમામાં સરી પડેલ છે તેનાં પણ શ્વાસ તો ચાલતા જ હોય છે. ઘણાં લોકો એવા જોયા છે કે જે જીવનના અંતિમ તબક્કામાં સંપૂર્ણપણે પથારીવશ હોય છે. શું આ જ જીવંત છે?
જ્યારે તમે કોઈ પણ જગ્યાએ જાઓ અને ત્યાંનું વાતાવરણ એકદમ જીવંત બની જાય તો સમજી લો કે તમે જીવંત છોથાય. બાકી ઘણાં લોકો એવા હોય છે કે જે આપણી વચ્ચે પાંચ કલાક બેઠા હોય તો પણ ખબર જ ન પડે કે એ છે.
કોઈ ઉદાસ વ્યક્તિને હસાવી શકો તો તમે જીવંત છો.
કોઈ વ્યક્તિ કે પ્રાણીને થયેલ અકસ્માત જોઈને કે પછી કોઈને દુઃખી જોઈને તમને પણ દુઃખ થાય તો તમે જીવંત છો. કોઈ બીમાર, અશક્ત કે લાચાર કે જેને તમે ઓળખતા પણ નથી એવાને જોઈને જો મનમાં કરુણા જન્મે તો તમે જીવંત છો.
જો પ્રેમ, કરુણા, દયા, લાગણી જેવા અનુભવો તમને થતાં બંધ થઈ ગયા હોય તો તમે માત્ર શ્વાસ લો છો, જીવંત નથી.
એક નાનું બાળક જોઈને જો એનાં પર પ્રેમ ન ઉભરાય તો તમે જીવંત નથી.
ગયા મહિને જે એક ગર્ભવતી હાથણીનાં મોતના સમાચાર જોયા એનાં પરથી ચોક્ક્સ કહી શકાય કે એને મારનાર પોતે જીવંત નથી. કોઈ પણ કારણ વિના કોઈને હાનિ પણ ન પહોંચાડવી જોઈએ જ્યારે આ તો ખૂન હતું.
માનવી મૃત્યુ પામે છે ત્યારબાદ પણ એણે કરેલા કર્મો તો જીવંત જ રહે છે, માટે કર્મ કરતી વખતે હંમેશા ધ્યાન રાખવું. એ ન ભૂલવું કે ઉપરવાળો આપણાં દરેક કર્મોનો સાક્ષી છે. જીવતાજીવ કરેલા કર્મો તમને મૃત્યુ પછી જીવંત રાખે છે. સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, કવિ નર્મદ, મીરાંબાઈ અને આવા તો બીજા ઘણાં મહાનુભાવો આજે પણ એમનાં કરેલ સારા કાર્યો થકી આજે પણ જીવંત છે. લોકો આજે પણ એમનાં વિચારોને અનુસરે છે.
મૃત્યુના મુખ સામે ઉભા હોવા છતાં પણ જો તમે એનો હિંમતભેર સામનો કરો છો તો તમે હજુ પણ જીવંત છો. મૃત્યુ એ અંતિમ સત્ય છે, પણ છેલ્લા શ્વાસ સુધી જીવવાની આશા જીવંત રાખવી એ જ તમારી હિંમત દર્શાવે છે.
કેટલાક લોકો ભર યુવાનીમાં પણ નિરાશ થઈને જીવે છે જાણે કે જીવન એક બોજ છે, અને કેટલાક જીવનના અંતિમ પડાવ વખતે પણ જીવંત હોય, મૃત્યુને એક ઉત્સવની જેમ આવકારતા હોય.
આપણે જીવન પસાર કરવું છે કે જીવંત રહેવું છે એ આપણે નક્કી કરવાનું છે. જો મન ભરીને જીવશો તો જીવંત રહેશો અને મનમાં ભરીને જીવશો તો પોતે જ પોતાને નુકસાન કરશો.
#જીવંત