સાંભળવું એટલે શું માત્ર બે કાનોથી જ? શું દરેક વખતે સાંભળેલું સાચું જ હોય છે? ક્યારેક તો અનુભવ થયો જ હોય છે બધાને કે સાંભળેલી બધી વાતો સાચી નથી હોતી, અફવા પણ હોય છે. ઘણાં પોતાનાં બાળકો માટે પણ ફરીયાદ કરતાં હોય છે કે એક કાનેથી સાંભળે છે અને બીજા કાનેથી કાઢી નાંખે છે. ક્યારેય વિચાર કર્યો છે આવુ શા માટે? શું ક્યારેય એની કોઈ ખોટી માંગણી માટે એને ના પાડી છે? ભલે ગમે તેટલી જીદ કરે પહેલી વારમાં જ ખોટી માંગણી સાંભળવાની ના પાડી દો. આપણે જ ખોટી માંગણીઓ સાંભળીએ છીએ ને પછી બાળકને આદત પડી જાય છે, પોતાની વાત મનાવવાની. વળી, બાળકો અનુકરણ પણ ખૂબ જ સારી રીતે કરતાં હોય છે. જેવું વડીલોને કરતાં કે કહેતાં સાંભળે તેવું જ કરવા પ્રેરાય છે. માટે આપણે બોલવું એવું કે સાંભળવું યોગ્ય બને. આવું માત્ર બાળકોની બાબતમાં જ નથી થતું મોટાઓની બાબતમાં પણ થાય છે.
સાંભળવું અને એને માની એનો અમલ કરવો - આ બે ની વચ્ચે એક તબક્કો આવે છે - વિચાર કરવો. વિચાર્યા વગર સાંભળેલી વાત સાચી માની ઉતાવળે લીધેલો નિર્ણય મોટા ભાગે ખોટો પુરવાર થાય છે. આવા સમયે અંતરાત્મા કહે એ સાંભળવું પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
વર્ષોથી વડીલોનું સાંભળતી આવી છું - એઓ હંમેશા કહે છે સાંભળો બધાનું પણ કરો પોતાની સમજ અને જરૂરિયાત મુજબ. બધાનું કહેલું બધુ જ સાંભળીને અમલમાં મુકવાનું જરુરી નથી. પણ જે યોગ્ય છે આપણા પોતાના માટે તેની આપણને પોતાને ખબર પડવી જોઈએ.
અંતે શ્રેષ્ઠ તો એ જ છે - સાંભળવું, વિચારવું અને પછી જ નિર્ણય લેવો.
આ મારા પોતાના વિચારો છે કોઇએ અંગત લઇ લેવું જરુરી નથી.🙏
#સાંભળવુ