કોરોના નેગેટિવ...
કોરોના પોઝિટિવ વિશે લખ્યા પછી કોરોના નેગેટિવ વિશે પણ વિચારવું જોઈએ, એવું લાગ્યું. જેમ એક સિક્કાની બે બાજુ હોય છે, એમ જ કોરોના કરફયૂની પણ નકારાત્મક અસર જોવા મળી છે. પરંતુ તેની આ અસર ખાસ કરીને માનવજીવન પર જ પડી છે અને તેના માટે મહદઅંશે આપણે પોતે જ જવાબદાર છીએ, એવું મારું પોતાનું માનવું છે.
સૌથી મોટી તકલીફ અત્યારે એવા પરિવારો ભોગવી રહ્યાં છે કે જેમનાં સ્વજનો સ્વાસ્થ્ય, સુરક્ષા કે સફાઈ સંબંધી સેવાઓ સાથે સંકળાયેલા છે. એમના સ્વજનો યુદ્ધ-મેદાનમાં જઈ, જીવનાં જોખમે લોકોને બચાવી રહ્યાં છે. આ યુદ્ધ કેટલાં દિવસ ચાલશે, એનાથી અજાણ તેઓ સતત હિંમતપૂર્વક પોતાની ફરજ નિભાવી રહ્યાં છે. આ સિવાય રોજગાર અર્થે વતનથી દૂર ગયેલ લોકો સૌથી વધુ તકલીફમાં છે. રોજેરોજ મજૂરી કરી પેટ ભરનાર પણ મોટી મુશ્કેલીમાં છે.
સરકાર દ્વારા થઈ રહેલ રાહત કામગીરી આ સૌ લોકો સુધી પહોંચે એમાં આપણે મદદરૂપ થવું જોઈએ. પરંતુ અમુક લોકોને આ સામાન્ય લાગે છે અને તેઓ સાવચેતી માટેનાં સરકાર દ્વારા લેવાયેલા પગલાંઓનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. નિયમ તોડી 'હું કંઈક છું' એવું સાબિત કરનારાઓ એ નથી જાણતાં કે તેઓનાં આ વર્તનને કારણે આખો દેશ સંકટમાં મૂકાઈ શકે છે.
અત્યારે ઘર પર રહી આપણે સૌએ આવા લોકો માટે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ. પરંતુ આપણે તો મોજશોખ કરવા ટેવાયેલા છીએ. આપણને કોઈ તકલીફ નથીને ? બીજાનું જે થવું હોય તે થાય. પણ જ્યારે આપણું કોઈ સ્વજન આ તકલીફનો ભોગ બનશે, ત્યારે કદાચ મોડું ન થઈ ગયું હોય. માટે વહેલાસર જાગી જઈએ, એમાં જ સૌનું કલ્યાણ છે.
જો આપણે ઘરે રહેલ દરેક વ્યક્તિ માત્ર પાંચ મિનિટ સવાર-સાંજ આવા લોકો માટે અને કોરોના પીડિતો માટે ઈશ્વરને પ્રાર્થના કરીશું, તો એ પોઝિટિવ એનર્જીને કારણે વહેલી તકે આ ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવી શકીશું. આપણો દેશ તો પહેલેથી જ ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખતો આવ્યો છે. તો સાથે મળી આવી પોઝિટિવ એનર્જી દ્વારા કોરોના પોઝિટિવને કોરોના નેગેટિવમાં ફેરવી દઈએ અને પરિવારને, સમાજને, દેશને કોરોના-મુક્ત કરીએ.
આ સિવાય પણ કોરોના કરફયૂથી ઘણું ખરાબ થયું હશે, જે મારા ધ્યાને નહિ આવ્યું હોય. તો આ 'કોરોના નેગેટિવ' વિશે પણ આપ પોઝિટિવલી વિચારશો એવી આશા રાખું છું. સૌ સ્વસ્થ રહો, ખુશ રહો...
બિપીન અગ્રાવત 'વીર'
તા.૩૦-૦૩-૨૦૨૦
(કોરોના કરફયૂ દિવસ-૬)