વાર્તા નં :૯
આનંદી કાગડો..
એકવાર બધા પંખીઓ નો કલરવ સંભળાતો હતો.એક ઝાડ પર કાગડો ચુપચાપ બેઠો હતો.બધાએ પૂછ્યું ,” કાગડાભાઈ ,શું કામ ચુપ છો?મૌન વ્રત છે કે શું?સૂર્યોદય થયો..આગતાસ્વાગતા તો આપણે જ કરીએને?”
કાગડાભાઈ એ ઉત્તર આપ્યો-
“ભાઈઓ બહેનો મને આજે તમારો મીઠો કલરવ સાંભળવો હતો,ને આનંદ લેવો હતો...”
ઈર્ષાળું હંસલો બોલ્યો -
“કાલથી આપણે મૌન રહીશું”.
મીઠડી કોયલ ટહૂકી ઉઠી-
“ભગવાને બધાને જ સવારના પહોરમાં ફરજિયાત બોલવું એવો આદેશ આપ્યો છે”
ચકલીબેન ને ચકાભાઈએ એક સાથે ચીં ચીં કરતા કહ્યું -
“જુઓ બધા કેવા અમારા આગમનની રાહ જુએ ને મારો તો વિશ્વ ચકલી દિવસ પણ મનાવે.તો તમારે તમારી ફરજ બજાવવી જ જોઈએ..”
કબૂતર ને કબૂતરી એ પણ “ગૂટર ગૂઁ ગૂટર ગૂઁ “ કરી ટાપસી પૂરાવી.
કાબરબેને તો એક ડાળ પરથી બીજી ડાળી પર ઉડી કલબલાટ કરી મૂક્યો.
પોપટને મૈના પણ ટેં ટેં કરી લાલ ચાંચ પહોળી કરી ખડખડાટ હસી પડ્યા.
બગલાભાઈ લાંબી ડોક કરી કાન સરવા કરી નીચે તળાવમાં તરી રહ્યા હતા તે પણ “કબૂત કબૂત “કરી ઉઠ્યા.
મોર ને ઢેલ પણ સરસ મીઠા સ્વરે ટહૂકો કરી ઉઠ્યા ને પોતે તો રાષ્ટ્રીય પંખી કહેવાય તેવું અભિમાન કરીને મોર પીંછા ફેલાવી નૃત્ય કરવા લાગ્યો.
બધા મરકમરક હસતા હતા ,બધા જાણતા હતા કે કાગ વાણી કર્કશ હોય એટલે એમને શરમ આવે છે,તેથી તે ચુપચાપ છે.
કાગડાભાઈ જેનું નામ મસ્ત મૌલા ને આનંદી તેમને થયું જો
હું જવાબ નહિ આપું તો જરૂર બધા મને મૂર્ખ સમજશે.હવે કાગડા ભાઈએ કહ્યું,” જુઓ મિત્રો મને તો એમ કે તમારી મીઠી મધુર કલરવતામાં હું ક્યા કર્કશ અવાજ કાઢું એના કરતા મધુર સંગીતમય કલરવ ના સાંભળું.હા પણ મને જરાય ડર નહિ કારણ જાણો છો..?”
બધા પક્ષી બોલી ઉઠ્યા,” કેમ..?”
કાગડાભાઈ તો આનંદની કિલકારી કરી બોલ્યા,” ન મને પારધી મારે, ન મને ખેડૂત ઉડાડે કારણ હું તો તેના ખેતરના કીડાં જો ખાઈ જાઉં ,ન મને કોઈ પીંજરે પૂરે, કોયલબેન પણ એમનાં ઈંડા મારી કાગડીના ભરોસે મૂકે,
પારધીને તો પિંજરે પુરાય એવા પક્ષી જોઈએ..મને તો કોઈ પીંજરે પણ ન પૂરે..લોકો કાગવાસ નાંખી શ્રાદ્ધ કરે.
વગર માંગે ખીર પૂરી મળે.માનવ મને ખવડાવે તો સમજે કે તેના પૂર્વજોને પહોંચ્યું..।”ને કાગડાભાઈ તો કા કા કરી
ખુશ થઈ ઉજવી લાગ્યાને બધા કાગડા મળી...કા કા નો અનેરો આનંદ લેવા લાગ્યા.
“મને તો મુક્ત આકાશે જ્યા
વિહરવું હોય ત્યાં વિહરી
નદી દરિયા પાર જવાય..!
કેવી મજા ભાઈ કેવી મજા..!”
બધા પક્ષી તો કાગડાભાઈની વાત સાંભળી ચુપ જ થઈ ગયા..હવે શું બોલવું..
કહેવાનું તાત્પર્ય એટલુંજ કે ,*જેમ પ્રભુએ ઘડ્યા તેમ રહીએ,ખોટું અભિમાન ન કરીએ..જિંદગી મળી છે તો દરેકમાં આનંદ મેળવીએ*
જયશ્રી પટેલ
૨૨/૩/૨૦૨૦