Thank You કોરોના...!
આજે માણસ પાસે સમય, સત્તા કે રૂપિયા હોવાછતાં એકદમ લાચાર થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. ઈશ્વરે જિંદગી મોજ-શોખ કરવા, હરવા-ફરવા, ખાવા-પીવા માટે જ આપી છે, એવું માનનારા આજે ઘરમાં પૂરાઈને બેઠાં છે. કેમ કે, મલ્ટિપ્લેક્સ થિયેટર, શોપિંગ મોલ, હોટલ-રેસ્ટોરન્ટ, ફરવાલાયક સ્થળો, મોટાં-મોટાં મંદિરોથી માંડી નાના-મોટાં શહેર, ગામ, ગલી બધું જ પ્રવેશ-નિષેધ છે.
ટૂંકમાં કહું તો ઈશ્વર કોરોનાદૂત દ્વારા એ જ સંદેશો આપવા માગે છે કે ખરો આનંદ પરિવાર સાથે છે. જો પરિવારને તમે સમય ન આપી શકતા હો તો જીવન નકામું છે. ગણેશજીએ જેમ પૃથ્વી-ભ્રમણ કરવાને બદલે માતા-પિતાની પ્રદક્ષિણા કરી પરિવારનું મૂલ્ય સમજાવ્યું હતું, એમ જ આજે એ સમજાવવા માટે ઈશ્વરે આ કોરોનાદૂત મોકલ્યો હોય એવું લાગી રહ્યું છે. ધન કમાવવા માટે થઈ વિદેશમાં ગયેલા અનેક લોકો આજે પોતાના પરિવાર પાસે આવવા માટે તડપી રહ્યાં છે.
બીજું, આપ જો આપના ધન કે સત્તાનો ઉપયોગ પરમાર્થ માટે ન કરી શકતાં હો તો એ પણ નકામું છે. મૃત્યુ બાદ ધન કે સત્તા આપની સાથે નહિ આવે, પણ જીવનપર્યંત કરેલા સત્કર્મો જ સાથે આવશે, એવું કોરોના વાઇરસ દ્વારા ઊભી થયેલી પરિસ્થિતિ જણાવી રહી છે. આ વાત દરેક ધર્મગ્રંથોમાં દર્શાવેલી જ છે, પરંતુ ભૌતિક સુખો પાછળની આંધળી દોટ મૂકવામાં આજનો માનવી એ ભૂલી, અત્યંત સ્વાર્થી ને લોભી બની ગયો છે.
ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલાઇઝેશનને કારણે ઊભી થયેલી આજની સ્થિતિ આપણી પુરાતન જીવનશૈલીને સંપૂર્ણપણે સાચી સાબિત કરે છે. જો એ રસ્તે આપણે પાછા ફરીશું, તો કદાચ હજી લાંબું તેમજ સારું જીવન જીવી શકીશું અને આવનારી પેઢીને એવું જીવન આપી શકીશું. નહિ તો આમ જ ડરતાં-ડરતાં મરવાનું નક્કી છે.
હવે જો માનવતાનું મૂલ્ય નહિ સમજીએ તો માનવ-શૂન્ય જગત બનતાં વાર નહિ લાગે. જનતા-કર્ફ્યુંથી આ કોરોનાદૂત તો ચાલ્યો જશે, પણ બીજી કોઈ આફત આવશે, જે માનવજાતને અંત તરફ લઈ જશે. માટે વસુધૈવ કુટુમ્બકમની ભાવનાથી રહીએ અને ષડરીપુનો ત્યાગ કરી, આનંદમય જીવન જીવીએ...
અંતમાં ફરી સૌનાં જીવનને સાચી દિશા બતાવવા બદલ Thank You કોરોના...!!