સરકારનો રાઈના દાણા જેવો નાનામાં નાનો વાંક (દોષ) દેખાય, તો પણ એને પહાડ સમજીને ઉહાપોહ મચાવી દે એનું નામ જ નાગરિક.
નાગરિકો સરકારના ખભે માથું મૂકીને સુઈ જાય, એ વલણ ઇચ્છવાયોગ્ય નથી જ. સરકાર એક વ્યવસ્થા છે, મશીનરી છે, જેના પર આપણી નાગરિકોની બારીક નજર રહેવી જ જોઈએ. સરકાર પાસે અઢળક પૈસા છે, પોતાના વાજબી/ગેરવાજબી કામોને ખરા ઠેરવવાની કવાયતો માટે. એટલે જે લોકોએ સરકારને ચૂંટી છે, એવા નાગરિકોએ પણ
સરકારની આરતી ઉતારવાના ધંધાથી છેટા રહેવું જોઈએ.
નાગરિકો સરકારને નક્કી કરે, ત્યારે એ પોતાના વતી કામ કરનાર નોકરને પસંદ કરે છે. જેને જાહેર સેવક ગણવા જોઈએ. આ માલિક - સેવકનો સંબંધ મુદતી હોય છે. એમાં વેલીડિટી તારીખ બદલાયા કરે, તો સરકાર સખણી રહે. એવું ન થાય તો પણ નાગરિકોની ધાક તો રહેવી જ જોઈએ.
નાગરિકોએ વિરોધ મુદ્દે સક્રિય થવું, બાકી સમર્થન મામલે હૈસો હૈસો કરીને નીકળી પાડવામાં સાર નથી, કેમ કે સરકારને મત આપીને સમર્થન તો આપ્યું છે. હવે વારેઘડીએ એ મામલે સરકારતરફી જુવાળમાં જોડાઈ ન જવું જોઈએ. આપનો સેવક બરાબર કામ કરે, તો એના માટે તાળી પાડવાની જરૂર ન હોય. એણે એ જ તો કરવાનું હોય. હા, એ આડોટેડો થાય તો તરત જ એનો કાન આમળવાની ફરજ બજાવે એ જ નાગરિક લોકશાહીના ફળો ચાખી શકે. લોકશાહીમાં મતદાન કરવું એ તો પ્રથમ પગથિયું થયું, એ પછી પણ ઘણા પગથિયાં બાકી રહે છે. આટલું યાદ રહે, તો સરકાર પણ સજાગ રહે કે માલિક જાગે છે, જુએ છે.