*ઓળખ વિશે..*
બીજાઓને આપણી ઓળખ આપીએ, એ મોટેભાગે બાપ/દાદા કે પૂર્વજ કમાઈની હોય છે. આપણે ફલાણા જ્ઞાતિના કે ઢીંકણા ધર્મના કહીને મળીએ, ત્યારે વિચાર સરખો ય આવે કે આ બંને એમ જ જૈવિક અકસ્માતથી મળેલી ઓળખ છે? એની પ્રાપ્તિમાં આપણું યોગદાન તો ઝીરો જ. હા, એ સિવાય વ્યાવસાયિક કે ચારિત્ર્યસહજ ઓળખ મેળવી હોય, તો એ આપણી કમાણી કહેવાય. બાકી તો ઉછીની ઓળખ પર ગર્વ અનુભવવો - એના જેવી મુર્ખતા બીજી ભાગ્યે જ હોઈ શકે.
સંબંધ બાંધવા માટે જ્ઞાતિ જેવું નકામું પરિબળ એકેય નહીં. જ્ઞાતિ જોઈને સંબંધ બંધાય, ત્યારે તમે માણસ છો, એ વાતનો પહેલો જ છેદ ઉડી જાય છે. માની લેવાનું કે તમે ઘેટું છો, તમારે ઘેટાઓ જોડે જ બોલવાનું/ફરવાનું.
બીજું ખાસ, એ કે જે વસ્તુ બાયોલોજીકલ અકસ્માતથી મળી હોય, એના માટે ગર્વ કે લઘુતાગ્રંથિ અનુભવવી - બન્ને ટાળવાલાયક બાબતો છે. કોઈક કમઅક્કલવાળાને જ આવો નોનસેન્સ વારસો ગમે. સમજું વ્યક્તિઓએ દૂરથી નમસ્કાર કરવા જોઈએ.
આપણે પહેલા અને છેલ્લે માણસો છીએ, માત્ર માણસો. જ્ઞાતિ/ધર્મની - આપણી ઓળખની અણી કોઈને વાગે, તો એટલું માણસપણું આપણામાં ખૂટયું સમજવાનું.