ગઝલ
કોણે કહ્યું પહેલાં સમી લિજ્જત નથી રહી ?
ને જિંદગીની સ્હેજ પણ કિંમત નથી રહી ?
લમણે દઈને હાથ જે બેસી રહે એને,
લાગ્યા કરે કહ્યાગરી કિસ્મત નથી રહી.
છે કંટકો ચારે તરફ તેથી જ ફૂલને-
રંજાડવાની કોઈમાં હિંમત નથી રહી.
દીવાલ તોડીને પ્રવેશી નફરતો પછી-
પ્રત્યેક પાસે પ્રેમની મિલકત નથી રહી.
છેડયા કરે શહેરી હવા પ્રત્યેક ગામને,
સૌ ખોરડાની એટલે ઈજ્જત નથી રહી.
આંખો સમીપે પાથરી દીધી નજર છતાં,
કહેતા ફરે છે અવસરો, ખિદમત નથી રહી.
એ કેન્દ્રમાંથી વિસ્તરી છે જ્યારથી અરે,
સંવેદનાઓ ત્યારથી અંગત નથી રહી.
જિજ્ઞા ત્રિવેદી, ભાવનગર