બિલાસ ખાંની તોડી.
તાનસેન મૂળ નામ રામતનુ, તેને ચાર પુત્રો સુરતસેન, શરતસેન, તરંગસેન,અને બિલાસખાં, અને એક પુત્રી. પુત્રીનું નામ સરસ્વતી. તાનસેના પુત્ર બિલાસખાં સાહેબ રાગ તોડીના મશહુર ગાયક હતા. બિલાસખાંને વહાલ સોઈ પુત્રી જેણે પિતાની સેવા કરવા માટે શાદી નહોતી કરી. બિલાસખાં જ્યારે રિયાઝ કરતા ત્યારે તેમની પુત્રી સામે બેસતી અને પિતાને દાદ આપતી. એકવાર દાદ આપતાં પુત્રીને ઉધરસ આવી. ખાં સાહેબ ચમકી ગયા રિયાઝ બંધ કરી હકીમ સાહેબને બોલાવ્યા. હકીમસાહેબે પુત્રીને ક્ષયનું ભયાનક દરદ લાગુ પડ્યાનું નિદાન કર્યું. બિલાસખાંને પસ્તાવાનો પાર ના રહ્યો. જાત પર તિરસ્કાર આવ્યો. તોડીની રિયાઝમાં પ્યારી બેટીને ભુલી ગયા. એ અજંપો હૈયાને કોરી ખાવા લાગ્યો. બિલાસખાંએ નક્કી કર્યું 'હવે તોડી રાગ જીવનભર નહિં ગાઉં.' સંગીત છોડી બેટીની સેવામાં સેવામાં લાગી પડ્યા. પુત્રીની સેવા અને ઈબાદત બે જ વાત જીવનમાં રહી. ખાં સાહેબે સેવા ચાકરી રાતદિવસ કરી, પણ સારૂં ન થયું દિનપ્રતિદિન દેહ ક્ષીણ થવા માંડ્યો, છેવટે અંતકાળ નજીક આવ્યો બિલાસખાં સાહેબે કહ્યું બેટી, તારી કોઈ અંતિમ ઈચ્છા છે?' પુત્રીએ કહ્યું 'હા મારે તોડી રાગ સાંભળવો છે ‘.
બિલાસખાં એ સિતાર હાથમાં લીધી જિંદગીમાં છેલ્લીવાર તોડી રાગ છેડ્યો. હાથમાં સિતાર,આંખમાં આંસુ અને હ્રદયમાંથી ઘૂંટાઈને આવતો તોડીરાગ હવામાં ગુંજી રહ્યો. અંતરનાં અરમાનો, તોડીની રજૂઆતમાં ખાં સાહેબે વહાવી દીધાં. રાગ પૂરો થયો, ગાન થંભ્યું અન તે વખત પુત્રીની જિંદગી પૂરી થઈ.
----શાહબુદ્દીન રાઠોડ