#એક વિચાર..
#Toxic people..
આમ તો શુદ્ધ ગુજરાતીમાં આનું ભાષાંતર વિષ ધરાવતા માણસો થાય પણ આનો અર્થ એવો લોકો થાય જે આપણા જીવનમાં કોઈ ને કોઈ રીતે નકારાત્મકતા ફેલાવતા હોય.
થોડું વિચારશો તો આપણી આજુબાજુ ઘણા આવા લોકો મળી આવશે. એ પછી આપણા સગા, પાડોશી, મિત્ર કે કોઈ પણ હોઈ શકે. જ્યારે તમારા ઘરે કોઈ સારોનરસો પ્રસંગ આવશે ત્યારે આ લોકો એમના સાચા કલર બતાવશે.
જ્યારે પણ ઘરે લગન જેવો કોઈ પ્રસંગ હોય ત્યારે આપણને સૌથી મોટી ચિંતા તો આ લોકો ને સાચવવાની હોય. ખબર જ ના પડે કઈ વાતમાં એમને ખોટું લાગી જાય ને વાત વધારે વણસી જાય. આપણું ઘણું ખરું ધ્યાન તો એમને સાચવવામાં જ રહે જેથી પ્રસંગ શાંતિ થી પાર પડે.
એવી જ રીતે જ્યારે તમારા ઘરે કોઈ નવી, કિંમતી વસ્તુ આવે ત્યારે તમારા આવા કોઈ પાડોશી એની ખામીનું લીસ્ટ લઈને તમારી સામે આવી જશે. અથવા એવું કઈક કરે જેથી તમારા મૂડ ઉપર અસર થાય. એક ઉદાહરણ આપું તો જ્યારે તમે નવી કાર કે નવું કોઈ વાહન લાવો ત્યારે એના પાર્કિંગ ને લઈને માથાકૂટ કરવી કે પછી તમારી વસ્તુ નો હરખ કરવાની જગ્યાએ એમની જોડે કે એમના દૂર દૂર ના સગા જોડે એનાથી પણ વધારે સારી વસ્તુ હોય એનું પ્રદર્શન કરવું.
અમુક મિત્રો પણ આવા હોય જે તમારી પ્રગતિ જોઈ ના શકતા હોય. અમે તમારા બીજા મિત્રો આગળ તમને નીચા પાડવાના ચાલુ કરે.
આ તો થઈ એવા લોકો ની વાત જે પોતાની પોતાની લીટી મોટી કરવા બીજાની લીટી નાની કરે. આના સિવાય એવા પણ લોકો હોય જેમની વિચારસરણી એક દમ નકારાત્મક હોય. એ ગમે તેટલી સારી પરિસ્થિતિમાં હોય પણ એમને દુઃખમાં રહેવાની આદત પડી ગઈ હોય. પોતાની વાતના દુખડા રડ્યા જ કરતા હોય. એમના દુઃખ આગળ બીજાના દુઃખ તો જાણે ગૌણ હોય. અને ઘણી વાર તો એ દુઃખ એમના જાતે ઊભા કરેલા હોય. એમનો સ્વભાવ જ એવો હોય.. અથવા તો અસંતોષી હોય અથવા એમને આવી રીતે સહાનુભૂતિ મેળવવાની આદત હોય. ઘણી વાર આવા લોકો અતિશય લાગણીશીલ હોય. પણ કહેવાય ને અતી ની ગતિ નઇ એવું જ કંઇક.. આવા લોકો તમને પણ ઈમોશનલ બ્લેમેઇલ કરે. રડી ને કે બિચારા બનીને તમારી સહાનુભૂતિ મેળવે. જો એમની જોડે તમે સહમત ના થાવ અથવા કોઈ વાતમાં અણબનાવ જેવું થાય તો એ ઈમોશનલ કરીને તમારા મનમાં જાત માટે જ અપરાધ ભાવ ઊભો કરે. અને જ્યારે તમને સાચી હકીકત ની જાણ થાય ત્યારે તમને છેતરાયા જેવી લાગણી થાય. તમને જાત માટે જ ગુસ્સો આવી જાય..
આવી કોઈ પરિસ્થિતિમાંથી લગભગ ઘણા ખરા લોકો પસાર થયા હશે. મારા મતે તો જ્યારે આવા ટોક્સિક પીપલ આપણી લાઇફમાં આવે ત્યારે એમની જોડે થોડી સમજદારી થી કામ લેવું જોઈએ. એમને આપણા ઉપર હાવી થવાની ભૂલ તો ક્યારેય ના કરવી. મોટા હોય, વડીલ હોય કે સંબંધ સાચવવા માન તો આપવું જ પડે પણ આપણા આત્મસન્માન કે આપણી શાંતિ ના ભોગે તો નહી જ.. એક લિમિટ પછી એમને પણ લિમિટ બતાવવી જરૂરી હોય છે. હા, આપણા સંસ્કારની મર્યાદામાં રહી ને જ.. કદાચ અા વાત આકરી લાગે પણ મનની શાંતિ માટે જરૂરી છે કે કોઈ પણ નકારાત્મકતા ને આપણા ઉપર હાવી ના થવા દેવી.
શેફાલી શાહ