લખવાની પાટી હવે વિસરાઈ ગઈ છે.
જૂની પેઢીને યાદ હશે કે પહેલા પ્રાથમિક શિક્ષણના વર્ગોમાં પાટીનો ઉપયોગ થતો. લેશન પણ પાટીમાં થતું. હવે કયાંય પાટીનો ઉપયોગ થતો હોય તો ખ્યાલ નથી.
સામાન્ય લાગતી આ પાટી આપણને એક મહત્ત્વનો સંદેશ આપે છે. ઘણી વખત પાટીમાં બહુ બધું એકસાથે અને ઝીણા અક્ષરોમાં લખવામાં આવતું. શબ્દો એકબીજામાં ભળી જતા અને ગૂંચવાડો થઈ જતો. વાંચવામાં તકલીફ પડતી અને ખબર ના પડતી કે શું લખ્યું છે. પછી શિક્ષક ગુસ્સે થાય કે શું લખ્યું છે વાંચી સંભળાવ. વિદ્યાર્થીને પોતાને પણ ના સમજાય કે શું લખ્યું છે. બસ ખતમ. ભીનો ગાભો લીધો અને ફેરવી દીધો પાટી પર. પાટી પહેલા હતી એવી થઈ જાય. સાવ કોરી કટ. અને આ કોરી પાટી પર નવેસરથી સરસ મજાનું લખાણ લખતો અને શિક્ષક પણ ખુશ થઈ કહેતા હવે બરાબર! બસ આ કોરી પાટી જ આપણને એક મહત્ત્વનો સંદેશ આપી જાય છે.
"જીવનમાં પણ ઘણી વાર એવી પરિસ્થિતિ સર્જાય છે કે બધું જ ગૂંચવાઈ ગયું હોય એમ લાગે. આગળ શું કરવું, શું વિચારવું કંઈ સૂઝ ન પડે. મગજમાં ઘણી બધી વસ્તુઓ એકસાથે ચાલતી હોય, ક્યાંય કોઈ તાલમેલ ન હોય. પેલી પાટીના લખાણની માફક જીવનમાં પણ એવો ગૂંચવાડો ઉભો થઈ જતો હોય છે કે ક્યાં શું ચાલે છે કંઈ જ ખ્યાલ આવતો નથી. આવી પરિસ્થિતિમાં શાંત ચિત્તે વિચારવા માટે મગજને કોરી પાટીની જેમ સાફ અને સ્વચ્છ કરવું જરૂરી હોય છે. જ્યાં સુધી તમે તમારા મગજનો કચરો સાફ નથી કરતા ત્યાં સુધી મગજ કોઈ નવા વિચારો કરી શકતું નથી. જયારે જયારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે પેલી પાટીની જેમ મગજનો બધો કચરો સાફ કરી અને પછી નવેસરથી વિચારો અને તે પ્રમાણે નિર્ણય કરશો તો કદાચ તમે કોઈ સારા નિષ્કર્ષ પર પહોંચી શકશો."