હે ક્રિષ્ન
તમને માધવ કહું,મધુસુધન કહું.લક્ષ્મી પતિ કહું,વૈકુંઠના નાથ કહું કે ત્રિભુવન પતિ કહું? ખબર નથી પડતી કયા નામથી સંબોધુ..પણ વાતચીતની સરળતા માટે હું તમને મારા વહાલા કહીશ.હવે જ્યારે વહાલા કહેતો હોઉં તો મને ટુકારો કરવાનો અધિકાર મળી જાય છે એટલે આને અવિવેક ન સમજતા...મૂળ વાત પર આવી આ પત્ર લખવાનું કારણ આપું..
વહાલા તારો શનિવારે જન્મદિવસ છે.એટલે વૈકુંઠથી તમે અહીં આવશો..આમતો તમે દર વર્ષે આવોછો એટલે ભારત અને તમારા ભક્તોથી વાકેફ હશો પણ જેમ યાત્રાએ લઈ જતા પહેલા ટુર ઓર્ગેનાઇઝર તમને ગરમ કપડાં,દવાઓ લાવવાની સૂચના આપે તેમ મારે પણ તમને કહેવું છે કે અહીં આવો ત્યારે ભારત કેવું હશે..તમારે શું ધ્યાન રાખવું....તો વાતની શરૂઆત કરું.......અને તમને આ નવા ભારતની ઝાંખી કરાવું....
* વહાલા તારો જન્મ થતા તારો જીવ બચાવવા તારા પિતા તને ગોકુળ મૂકી આવ્યા..
પણ હવે પોતાનો જીવ બચાવવા પિતા બાળકોને મૂકી આવે છે..
*યશોદા તારી જનેતા ન હતા તેમછતાં તને સગી માં કરતા વધુ પ્રેમ આપ્યો...
હવે ઓરમાન માં બાળકોને ત્યજી દેતા ક્યાં અચકાય છે.
*હવે તારે તારી માખણ ચોરવાની આદતમાં થોડું અપગ્રેડ થવું પડશે..
અમારે ત્યાં માખણ નહીં રાફેલ અને રામ મંદિરના કાગળો ચોરાય છે...
* યમુનાનું પાણી ગોકુળ વાપરી શકે માટે તે કાળીયા નાગને નાથયો
હવે તો સરકાર દ્વારા ખેડૂતોને ક્યાં પાણી અપાય છે..
*તે નિર્દોષ પ્રેમ બતાવવા ગોપીઓ ના વસ્ત્રો ચોર્યા.
પૂછ નિર્ભયાને,અમારે ત્યાં શરીરની ભૂખ પુરી કરવા વસ્ત્રો ખેંચાય છે.
* તે દુર્વાશા મુનિનો શ્રાપ સાચો પાડવા રૂકમણીજીનો ત્યાગ કર્યો,
અમારે ત્યાં વગર વાંકે પત્નીને છોડાય છે.
*કંસનો વધ કરીને મથુરા જીતી તે ઉગ્રસેનને રાજ આપ્યું,
અમારે ત્યાં રોજ ખુરશી માટે ઘમાસાણ થાય છે..
*વિધાતોના લેખ સાચા પાડવા તે શિશુપાલના સો અપરાધ માફ કર્યા,
અમારે ત્યાં રાજકીય હિસાબ પુરા કરવા રાજકારણ રમાય છે..
*તે રાધાના નિર્દોષ પ્રશ્નોના હંમેશા સંતોષકારક જવાબ આપ્યા..
અમારે ત્યાં પ્રશ્ન પૂછનારને હાસિયામાં ધકેલાય છે..
* ધર્મની સ્થાપના કરવા તે દુર્યોધનને કપટી કહી તેની પાસેથી હસ્તિનાપુર લીધું,
અમારે ત્યાં કપટીને શિરોમણી બનાવાય છે...
* તને એમ હશે કે તું તારા ભક્તો માટે આવે છે તો ઉભો રહેજે..હવે ભક્તો તારા રહ્યા નથી..
અહીં મિસ કોલથી ભક્ત બનાવાય છે.
*તને એમ કે રોજ સવાર સાંજ પ્રચાર માધ્યમો માં તારા ભજન આવશે તો...
અહીં સરકારના ગુણ ગવાય છે..
* તે દરેક જીવને એક સરખા સમજ્યા
હવે અહીં અનામત માટે આંદોલન થાય છે.
*તને માત્ર તારા જન્મદિવસેજ યાદ કરાય છે,
બાકી તારી ગીતા ક્યાં યાદ રખાય છે..
આવું તો ઘણું છે તને કહેવા જેવું.પણ થોડામાં વધુ સમજ..હવે ભારત પહેલા જેવું નથી રહ્યું.. કદાચ આ ભારત તારું નઈ હોય...તેમછતાં તું આવ તારું હું સ્વાગત કરવા તૈયાર છું..થનગની રહ્યો છું પણ તું કેટલું રહીશ એ તારા પર છોડું છું..હા મારા વહાલા વૈકુંઠમાં પાછો જાય ત્યારે મને સાથે લઈ જજે..કેમકે હવે ભારત તારું રહ્યું નથી ને મને અહીં ગમતું નથી.....