શ્રીકૃષ્ણ ભગવાન કહી ગયા છે, પરધર્મ ભયાવહ! આપણે એમની એ વાતને કેટલાક અંશે માનીને પોતપોતાના ધર્મનો ઝંડો ઊંચો રાખીએ છીએ...પણ,
બીજા લોકોને કોપી કરવામાં તો આપણે નંબર વન છીએ!
પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને એમનાં જેવાં કપડાં પહેરીએ, હેર સ્ટાઇલ કરાવીએ ત્યાં સુધી મને કંઈ ખોટું નથી લાગતું... એક ફેશનની જેમ આપણે ડિવોર્સ લેતાં થઈ ગયા છીએ પણ.. એમની જેમ ડિવોર્સ લેતાં નથી થઈ ગયા એ ક્યાંક ખટકે છે!
પતિ પત્નીને મનમેળ ન આવતો હોય તો આખું જીવન એકબીજાને સહન કર્યા વગર પ્રેમથી છૂટા થઈ જવું... આ વિચાર અંગ્રેજોનો છે અને સાચો છે આપણે પણ હવે એને અપનાવી રહ્યાં છીએ, ફક્ત છૂટા પાડવામાં થોડી ગડબડી થઈ જાય છે!
ખરું કહું તો મોટાભાગના લોકોને છૂટા પડતાં આવડતું જ નથી. અરે યાર જે તમારી પત્ની કે પતિ હોય... ભૂતકાળની કોઈક ક્ષણે તમે એકાદવાર પણ એને દિલથી પ્રેમ કર્યો હોય, એક બીજાનો ખયાલ રાખ્યો હોય અને હવે કોઈક કારણોસર જો છૂટા પડવાનું નક્કી કર્યું જ હોય ત્યારે આગળનું બધું ભૂલીને છેલ્લા ઝઘડાને જ યાદ રાખી ફરીથી એકબીજાનું મોઢું જોવાનો પણ સંબંધ ન રહે એવી રીતે છૂટા પડવું જરૂરી છે? આપણે એકબીજાનું માન જાળવી પ્રેમથી ‘બાય’ કહીને છૂટા ના પડી શકીએ! ભવિષ્યમાં એ ક્યારેક મળી જાય તો એને ‘કેમ છે?' એટલું પૂછવાનો સંબંધ ના રાખી શકીએ? ફોરેનમાં તો લોકોને એકથી વધારે છૂટી/છૂટો કરેલ પત્ની/પતિ હોય અને એ લોકો જ્યારે મળે ત્યારે એકબીજાને ગળે પણ મળી એમની સાથે દોસ્તની જેમ વર્તતા હોય છે, એ ભલે હવે તમારી પત્ની/ તમારો પતિ નથી પણ તમે જેને સારી રીતે ઓળખતા હો એવી વ્યક્તિ તો છે જ...
પતિ પત્નીની વાત તો તોય ઠીક છે સૌથી ખરાબ હાલત એમનાં બાળકની હોય છે. માબાપ છૂટા ફક્ત કાગળિયા પર જ થયાં હોય છે મનથી તો સદા સાથે ને સાથે જ હોય! જો બાળક સારું કામ કરે તો એને ઇનામમાં સાંભળવાનું, “મારા ઉપર ગયો છે, સામેવાળાના તો આખા કુટુંબમાં કોઈનામાં બુધ્ધિ નથી!" અને એ જ બાળક કોઈ ભૂલ કરે તો ઠપકા સ્વરૂપે સાંભળવાનું,, “આનામાં મારું એકે લક્ષણ ના આવ્યું... સામેવાળાના જેવો જ ગુંડો બનવાનો આ મોટો થઈને!"
બાળકને એ જેની સાથે રહેતો હોય એ મા કે બાપ સિવાય બીજા પણ ઘણા સંબંધીઓ આવું બધું કહી જતા હોય અને એ બિચારું, “આમાં મારો શો વાંક?", “તમે લોકોએ મને જનમ જ કેમ આપ્યો?" એ સવાલોના જવાબ શોધવામાં જ આખું બાળપણ વિતાવી દે છે...!
ટુંકમાં જો તમે માબાપ હો અને છૂટાછેડા લેવાનું જરૂરી જ હોય તો કમસેકમ એ બાળક આગળ તમારાં બંનેની એક સારી છબી બનાવી રાખજો. વધારે નહિ તો એવું નાટક તો કરજો, આખરે તમે એને પૂછીને તો જનમ નથી આપ્યો!
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?