#KAVYOTSAV -2
મન આ ક્યારે રૂપ બદલતું; કદીય ના સમજાયું,
કદીક પ્રગટે જ્વાળા ભીતર, કદીક વાતો વાયુ.
લાખો વરસોથી મારાથી મને બચાવી લેવા,
ફડફડ ફડફડ પાંખો વીંઝે અંદર એક જટાયુ.
સાત જનમની તરસ હતી તે પળભરમાં બૂઝાઈ,
કોણ કયું જળ લાવ્યું; કોણે કયા હાથથી પાયું!
તેંય મોજમાં આવી જઇને મનમાં કૈંક બજાવ્યું,
મનેય ચાનક ચડી જરી તો મનમાં મેં પણ ગાયું.
ઘરની કુંભી પર લટકાવ્યું જળતું ફાનસ જ્યારે,
ત્યાં કુંભી નીચે બેઠેલું અંધારું તરડાયું.
-હર્ષદ સોલંકી