*૨૩ માર્ચ વિશેષ લેખ*
*શહીદ ભગતસિંહની એકજ કામના:*
----------------------
*'ફરી આ ધરતી પર જન્મ લઈ માતૃભૂમિની હજુ વધુ સેવા કરું.'*
23 માર્ચ 1931...સતલજ નદીના કાંઠે રાતના ગાઢ અંધકારમાં એક લશ્કરી ટ્રક આવી. એમાંથી કોથળા નીચે નાખ્યા અને કેરોસીન છાંટી સળગાવી મૂક્યા. એ કોથળામાં ટુકડા કરેલી લાશો હતી - એ લાશો હતી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની. એ ત્રણેય ક્રાંતિવીરોને 24 માર્ચે પરોઢીયે ફાંસી અપાવાની હતી, દેશભરમાં અંગ્રેજ સલ્તનત સામે આક્રોશ ભભૂક્યો હતો એનાથી ગભરાઈને ફાંસી આપવાના એક દિવસ પહેલા જ 23 માર્ચે સાંજે બધાં જ નીતિ નિયમો નેવે મૂકીને , ત્રણેય ક્રાંતિવીરો ના પરિવારજનોને જાણ કર્યા વગર ચૂપકીદીથી ફાંસી આપી દીધી. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ લાહોરની જેલમાં કેદ હતા. એમના પર આસીસટન્ટ સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ સાંડર્સની હત્યા અને દિલ્હીની એસેમ્બલીમાં બોમ્બ ફેકવાનો આરોપ હતો. મંગલ પાંડે, વાસુદેવ બળવંત ફડકે, લક્ષ્મીબાઈ, ઝલકારીબાઈ, ખુદીરામ બોઝ, શ્યામજી કૃષ્ણ વર્મા, ચાફેકર બંધુ, ચંદ્રશેખર આઝાદ, યતીન્દ્ર્દાસ, અસફાક ઉલ્લાખાન, રામપ્રસાદ બિસ્મિલ, ઉધમસિંહ જેવા પંદર હજાર જેટલાં નામી-અનામી ક્રાંતિવીરોએ ભારતમાતાને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવા પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધાં. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ પણ આ જ અખંડ હારમાળાના નરબંકા હતાં. ભારતના આ મહાનસપુતોએ *'ભારતમાતા કી જય'* અને *'વંદે માતરમ'* ના જયઘોષથી યુવાશક્તિમાં એવો જોશ અને ઉત્સાહ ભર્યો કે અંગ્રેજ સલ્તનત ફફડી ઊઠી. આ યુવાન ક્રાંતિવીરોએ યુવા હૈયામાં નવીન ચેતના ભરી દીધી. ફાંસી વખતે ભગતસિંહની ઉંમર કેટલી ? માત 23 વર્ષ 5 મહિના અને 26 દિવસ...
લાહોરની ડીએવી નેશનલ કોલેજે ભગતસિંહની આકાંક્ષાઓને આકાર આપ્યો. લાલા લજપતરાય, ભાઈ મહાવીર જેવા ક્રાંતિપુરુષો આ કોલેજ સાથે જોડાયેલા હતા. આ કોલેજનું વાતાવરણ ખૂબ રળીયામણું છે.
અહીંની માટીનો સ્પર્શે જાણે આખા શરીરને રોમાંચથી ભરી દે છે. આજે તો ભલે એ ઈસ્લામીયા કોલેજ તરીકે ઓળખાતી હોય, પણ હજુ આજે પણ અહીંના માહોલમાં *'વંદેમાતરમ્'* ના નાદને અનુભવી શકાય છે.
ઘરમાં ભગતસિંહની સગાઈની વાત ચાલતી હતી અને એક દિવસ પિતાને ટેબલના ખાનાંમાંથી એક પત્ર મળ્યો, લખ્યું હતું: *'મારું જીવન ભારતને અર્પણ થઈ ચૂક્યું છે. મારા જીવનમાં આરામ અને સંસારની સુખ- સુવિધા લખાયેલી નથી. મને ક્ષમા કરશો.'*
અગ્નિની સાક્ષીએ લગ્નના ફેરા ફરવાના બદલે ક્રાંતિયજ્ઞનો સમિધ બની ગયા. ફાંસી આપવાનો સમય નજીક હતો. પોતાના મિત્ર અને વકીલ પ્રાંણનાથ મહેતા અંતિમ વસીયત માટે જેલમાં ભગતસિંહને મળવા ગયા હતા. બંને વચ્ચે થયેલી મુલાકાત પ્રાણનાથના શબ્દોમાં- 'હું લગભગ એક કલાક ભગતસિંહની ઓરડીમાં રહ્યો. જેલની બહાર જતી વખતે મેં ભગતસિંહને પૂછ્યું, તમારી કોઈ અંતિમ ઈચ્છા છે.. ?
ભગતસિંહનો જવાબ હતો - *'બસ એક જ કામના છે, ફરી આ ધરતી પર જન્મ લઉં અને માતૃભૂમિની હજુ વધુ સેવા કરું.'*
ભગતસિંહને પુનર્જન્મમાં વિશ્વાસ હતો. આજે દેશના દુશ્મનો દ્વારા ભારતની ધરતી પર 'પાકિસ્તાન ઝીન્દાબાદ' અને 'ભારત કી બરબાદી તક જંગ રહેગા...' જેવા નારા સાંભળીને એમનો આત્મા કેવો પીડાતો હશે..!! ખેર આવા નારા બોલાવનારાઓને ભગતસિંહ જેવા ક્રાતીવીરોની શહીદી સાથે શું લેવા દેવા..
ભગતસિંહ શહાદતને ઉત્સાહથી જાણે ઝીલવા બેઠા હતા એમણે મુલતાન જેલમાં બંધ બટુકેશ્વર દત્તને પત્ર લખીને કહ્યું હતું, 'મને ફાંસીનો આદેશ થયો છે. મારી સાથે બીજા પણ કેટલાંક ફાંસીની સજા પામેલા કેદીઓ છે. મને મારા આદર્શ માટે ફાંસીના ફંદા પર ઝૂલવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય એની હું ઉત્સુકતાથી પ્રતિક્ષા કરી રહ્યો છું. હું આનંદથી ફાંસીના તખ્તે ચડી દુનિયાને બતાવીશ કે ભારતના ક્રાંતિકારી પોતાના આદર્શો માટે કેવી વીરતાથી બલિદાન આપી શકે છે..!!
*ઈંકલાબ જીંદાબાદ ????*
*વંદે માતરમ્ ????*