સદવિચાર સદાચાર બની જાય તો સોનામાં સુગંધ ભળે.
માનવીને ભૂલ પોતાની સમજાય તો સોનામાં સુગંધ ભળે.
માનવ અવતાર એ જ સદભાગ્ય આપણું માનવું રહ્યુંને,
ઉઠતું અહમ્ બસ ઓગળી જાય તો સોનામાં સુગંધ ભળે.
પરમેશ દેખાય છે આપણને મંદિરોને તીર્થધામોમાં સદૈવ,
જનેજનમાં જો જનાર્દન પરખાય તો સોનામાં સુગંધ ભળે.
કરીએ કામ માનવતાનાં જ્યાં લગી તનમાં હોય શ્વાસ,
ક્યાંય કદી દુશ્મન કોઈ ન દેખાય તો સોનામાં સુગંધ ભળે.
સાંભળી પ્રશંસા કોઈ મુખે ના પ્રસન્નતા ચ્હેરે નજરાય,
નિજનિંદા સાંભળી ઉદ્વેગ ન થાય તો સોનામાં સુગંધ ભળે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '