અંતરના ઉંડાણમાંથી !
વૃધ્ધો માટેની સૌથી કપરી સમસ્યા પોતાના જ ઘરમાં
પોતે પરદેશી થઈને સમય ગાળતા હોય છે તેવી લાગણી.
આ વાત થોડી સમજવા જેવી છે. માણસ નિવૃતિકાળે પહોંચે એ દરમ્યાન તેણે પોતાના ગજા પ્રમાણે એણે પોતાનું કહેવાય એવું સ્વતંત્ર ઘર વસાવી લેવું. આ ઘર ભલે નાનું હોય કે મોટું, ઓછી સગવડોવાળું હોય કે વૈભવોથી ભરપુર સાધન સામગ્રીવાળું.
દિકરાઓ મોટા થાય એટલે તેમને નોકરી ધંધે લગાડી અને લગ્ન કરી તેમને તેમનો સંસાર સોંપી નિવૃત થઈ જવું. રાજકારણમાં જેમ સરકાર બદલાય અને નવી સરકાર આવે એટલે વહીવટી ફેરફાર થાય તેમ ઘરનું રાજકારણ પણ બદલાય છે. આ જ ઘરમાં હવે પુત્ર કે પુત્રવધુનું ચલણ શરૂ થાય છે. દિવાલ પરના રંગ, બારી બારણાંના પડદાથી માંડીને રસોડાની ગોઠવણ સુધીની ફેરબદલી નજરે ન ચડે એ રીતે, પણ ધીમે ધીમે થતી જાય છે. ઉઠવાનો,ચ્હા પીવાનો ન્હાવાનો, જમવાનો આ બધો સમય બદલાઈ જાય છે. આ ઘરમાં આવતા મહેમાનો પણ બદલાઈ જશે, તમારા મહેમાનો માટે હવે કદાચ તમારે વહુનો સમય પણ લેવો પડશે. વહુ ક્યાંક અન્યત્ર વ્યવસાયમાં રોકાયેલી હોય તો એની અનુકુળતા જાળવવા માટે પણ તમારે તમારા મહેમાનોનો સમય ફેરવવો પડશે. આ બધું દેખીતી રીતે તો એક ઉપલક વ્યવસ્થા જ છે, પણ અંતરના ઉંડાણમાં જઈને તપાસશો તો પોતાના ઘરમાં જ પોતે એક અજનબી થતા હોવાનો ઉઝરડો પણ ક્યાંક દેખાશે. આવા ઉઝરડાઓને રોકી ન શકો તો કાંઈ વાંધો નહિ,પણ એની આળપંપાળ તો ઓછી કરવાનું ડહાપણ અવશ્ય કેળવવું પડશે.