.....#.....ઊંઘ શા માટે ???...#... (ભાગ -૧)
એક સામાન્ય માણસ પોતાનાં જીવનનો સરેરાશ એક તૃતીયાંશ સમય ઊંઘવામા કાઢે છે.મોટાભાગનાં લોકો માટે તે એક વિશ્રામ મેળવવાની પ્રવૃત્તિ છે,ઊંઘતી વખતે તેઓ એકદમ શાંત લાગે છે.જો તમારા શરીરમાં બધું બરાબર હશે,તો ઊંઘીને ઉઠ્યા પછી તમે ચોક્કસપણે તાજગી અને ઉત્સાહ અનુભવશો.ક્યારેય વિચાર્યું છે શા માટે આમ બને છે?
ચાલો એક વાર્તા કહું:-
એક સુફી સંત એક રાજપરિવારનાં સંમેલનમાં જબરદસ્તીથી ઘુસી ગયા.અને છેક આગળ રાજાની ખુરશીની બાજુની ખુરશી પર જઈને બેસી ગયા.
સલામતી વ્યવસ્થાનાં વડા તરત આ સુફી સંતની પાસે ગયા.“મને માફ કરશો પણ આ જગ્યા એક વિશિષ્ટ વર્ગ માટે આરક્ષિત છે,”તેણે કહ્યું,“હું તમને પૂછી શકું કે શું તમે એક ખાસ મહેમાન છો?”
“હું તો એનાંથી પણ ઉચ્ચ છું.”
“ઓહ,તો શું તમે એકદમ ખાસ મહેમાન છો?”
“ના,એનાંથી પણ ખાસ.”
“તમે મંત્રી જેવા તો નથી દેખાતા,શું તમે….”
“મારી આગળ મંત્રી શું કહેવાય?સંતે સામેથી પૂછ્યું? “હું એનાંથી પણ મોટો છું.”
“તો શું તમે રાજાનાં કોઈ સગા છો?”
“એનાંથી પણ ક્યાંય ખાસ”
પેલો વડો તો ચિડાયો,“ઓહ!મારી ભૂલ થઇ,તમે તો ખુદ રાજા જ હોવા જોઈએ.”
“એનાંથી પણ મોટો”
“એ બિલકુલ વાહિયાત વાત છે,રાજાથી મોટું કોઈ નથી”
“બરાબર,હું કોઈ પણ નથી!”સંતે જોરથી કહ્યું.
તમે મારો સંકેત સમજ્યાં?
શારીરિક ફાયદા ઉપરાંત પણ તમે ઊંઘથી એક પ્રકારનો આરામ અનુભવો છો,કારણકે ઊંઘમાં ખાલી શરીર જ નથી સુતું તમારો અહં પણ સુઈ જાય છે.જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમે કઈ નથી હોતા.તમે રાજા હોય કે રંક,એક વખત સુઈ ગયા પછી બધા સરખા.રાજાને કઈ શાહી સ્વપ્ના જોવાનો કોઈ વિશિષ્ટ હક નથી.તમારું મન ઊંઘમાં જોયેલા સ્વપ્નથી આગળ કશું બોલી નથી શકતું. ત્યાં એક ચોક્કસ શાંતિ હોય છે.અહંની ગેરહાજરીમાં તમે એક જુદી દુનિયામાં,એક જુદી ચેતનામાં સરી જાવ છો.તમારો અહં કે જે એક જાગૃત અને અનુબંધિત મગજની પેદાશ છે,એ જયારે તમે સ્વપ્ના જુઓ છો,ત્યારે તેની સાથે હસ્તક્ષેપ નથી કરતો,અને માટે જ તમને સ્વપ્ના સાચા લાગતાં હોય છે.સ્વપ્ન જોતી વખતે જાગૃત મન કોઈ ગણતરી નથી કરતું હોતું.
તમે તમારી જાગૃત અવસ્થામાં જો તમારો અહં છોડી શકતા હોવ તો તમને કોઈ સ્વપ્ન દુઃખ નથી આપી શકતું. અહં જેટલો મોટો કે મન જેટલું વધુ તેજ હોય તો ઊંઘી જવાનું તેટલું જ અઘરું થઇ પડે છે.તમે થોડું ધ્યાન આપીને તપાસશો તો જણાશે કે,જે લોકોનાં જીવનમાં માનસિક પ્રવૃત્તિ વધુ હશે તેઓ જલ્દીથી સુઈ નહી શકે,તેમને વધુ વાર લાગતી હોય છે.અને આજ વાત જેનો અહં બહુ ઉચો હોય છે તેને પણ લાગુ પડે છે.જે નમ્ર છે કાં તો જે આળસુ છે,એની આંખ જલ્દી લાગી જાય છે,કોઈ પણ જાતનાં પ્રયત્ન વગર.
તો,શું ઊંઘને સમાધિની સમકક્ષ ગણી શકાય?શું ઊંઘ અને ભાવસમાધિમાં એકસરખી જાગૃતતા હોય છે?આખરે તો બન્ને વસ્તુમાં તમારો અહં છૂટી જતો હોય છે.પણ એવું નથી.ઊંઘમાં તમારી જાગૃતતા સુષુપ્ત અવસ્થામાં હોય છે.તમને ખબર હોય છે કે તમે મૃત નથી,તમે ખાલી સુઈ રહ્યા છો.જો કોઈ તમારા ઉપર ઠંડુ પાણી રેડે તો તમે તરત જ જાગી જશો.સમાધિવસ્થામાં તમારી જાગૃતતાનું પ્રભુત્વ હોય છે.તમારી ઉત્કૃષ્ઠ-જાગૃતતા એકમાત્ર એવું પરિબળ છે જે તમને અતીન્દ્રિય સમાધિની સ્થિતિ જાળવી રાખવામાં મદદ કરે છે.તો મુખ્ય તફાવત તમારી જાગૃતતા કઈ અવસ્થામાં છે–સુષુપ્ત કે પ્રભુત્વ–એના ઉપર છે. ઊંઘમાં તમારું અર્ધજાગૃત મન હુકમ ચલાવે છે.જયારે, સમાધિ અવસ્થામાં તમારી ઉત્કૃષ્ઠ જાગૃતીની અવસ્થા પ્રવર્તમાન હોય છે.
(ક્રમશઃ )