લાગણી અને વ્યવહાર...
☘️ આજનો અનેરો દિવસ એટલે વેલેન્ટાઈન ડે... પ્રેમનો દિવસ... અનાયાસે મારું માનવું છે કે પ્રેમનો કોઈ દિવસ હોતો જ નથી... પ્રેમની તો ક્ષણ હોય... એ ક્ષણ જે તમારા જીવનની દરેક ક્ષણમાં ભળીને તમારા જીવનને પ્રેમથી લથપથ કરી દે.. જાણે રસગુલ્લો રસમાં ડૂબીને પોતાને પૂર્ણ મહેસુસ કરતો હોય. પોતાને આનંદિત મહેસુસ કરતો હોય.. બરાબર એમ જ.. એટલું જ મહત્વ પ્રેમનું આ જીવનમાં છે.. પરંતુ આજના દિવસે અહીં વાત કૈક જુદી જ કહેવી છે...
☘️ શિયાળાની બપોર છે અને એમાંય આછી ઠંડી... મેં ટ્રેનમાં મારી સીટ રોકી લીધી. મારી બાજુની સીટ ખાલી હતી ત્યાં એક કપલ આવીને બેઠું અને સામેની સીટ માં એમણે એમના દસેક વર્ષ ની આજુબાજુની ઉંમરના બે બાળકોને બેસાડ્યા. એ બાળકોની બાજુમાં સીટ ખાલી હોય ત્યાં એક દાદા આવીને બેઠા. દાદા અજાણ્યા હતા. ટ્રેન ઉપડી અને દાદાએ પોતાની થેલીમાંથી બે બિસ્કિટના પેકેટ અને એક ખારીસીંગનું પેકેટ કાઢ્યું. દાદાએ બિસ્કિટનું પેકેટ ખોલ્યું અને બે બિસ્કિટ એમની બાજુમાં બેઠેલા બને બાળકોને આપ્યા, બીજા બે બિસ્કિટ આપ્યા મારી બાજુમાં બેઠેલા કપલને અને બે બિસ્કિટ આપ્યા મને.
☘️ મારે તો આજે શુક્રવારનો ઉપવાસ હતો એટલે મેં એ બિસ્કિટ પુરા સન્માન સાથે પરત કર્યા. તેમજ મારી બાજુવાળા કપલને બિસ્કિટ ન હતા ખાવા, છતાંય દાદાએ એમને ધરાહાર (પરાણે) બિસ્કિટ આપ્યા.. એ કપલ કહેવા લાગ્યા કે "દાદા! અમે નાસ્તો લીધો છે, અમે થોડી જ વારમાં નાસ્તો કરીશું. અને એમ ભી અમે રોંઢો કરીને (સવારનું જમવાનું) આવેલા છીએ આપ બિસ્કિટ ખાઓ અને આપ આપનો નાસ્તો કરો." પણ દાદા એકના બે ન થાય. એ દાદા તો ખાતા જાય અને એ કપલ અને એમના બાળકો એ ખવડાવતા જાય... થોડી જ વારમાં એ કપલ ગુસ્સે ભરાય એવું મોઢું કર્યું એટલામાં બિસ્કિટ ખાલી થયા, પણ જો થોડા બિસ્કિટ થોડા વધુ હોત તો એ કપલ ગુસ્સો કરેત અને દાદાને કંઈક કહી દેત અને દાદાએ એ બધું સાંભળવું પણ પડેત..
☘️ અહીં મેં એક બાબત માર્ક કરી કે આપણી લાગણી ગમે તેટલી સારી હોય એને વ્યવહારમાં મુકતા પહેલા તો વિચારવુ જ જોઈએ. ખાસ તો જ્યારે આપણે અજાણ્યા સાથે એ મુજબનો વ્યવહાર કરીયે ત્યારે તો ખરા જ.. કારણ કે આપણા સમાજમાં વ્યવહારને પહેલા મહત્વ આપવામાં આવે છે, લાગણીને પછી... એટલે લાગણી વરસાવતા પહેલા ક્યાં વરસાવો છો એની સાદી સમજ પણ આપણા માં હોવી જોઈએ જ..
☘️ દા. ત. આપણે કોઈના ઘરે જઇયે તો વ્યવહાર મુજબ એ આપણને ચ્હા-નાસ્તાનું તો પૂછે છે. ભલે એમની લાગણી ન હોય પરંતુ છતાંય તેઓ વ્યવહારિક પૂછે તો ખરા જ..
☘️ ભલે એ દાદાનો આશય સારો હતો પણ એ વ્યવહારિક તો ન જ હતો, કારણ કે જ્યારે આપણે ટ્રેનમાં લાંબી મુસાફરી કરતા હોઈએ ત્યારે મોટાભાગે આપણે અજાણ્યા લોકો પાસેથી કાઈ પણ ખાવાનું ટાળતા હોઈએ છીએ. આવા સમયે કોઈ પોતાની લાગણીને વશ થઈને કૈક ખાવાનું આપે અને આપણું મન ન હોય અને છતાંય જો સામેવાળા માણસ પરાણે ખવડાવવાનો પ્રયત્ન કરે તો ક્યારેક તેઓએ પોતાનું માન સન્માન ગુમાવવું પડે છે..
☘️ ટૂંકમાં દરેક માણસે જરૂરિયાત કરતા વધુ લાગણીશીલ થવું હિતાવહ નથી. એની કરતા તો વ્યાવહારિક થવું ઘણું સારું છે. લાગણીશીલતા અને વ્યાવહારિકતાની વચ્ચેના ભેદને સમજ્યા વિના જ્યા ત્યાં લાગણીનો વ્યય માણસને દુઃખ આપે છે જ્યારે વ્યાવહારિકતા માણસને સમજણ.. સામે વાળા માણસને શેની જરૂર છે અને આપણે એમને શુ આપીએ છીએ એ હંમેશા વિચારવું જ રહ્યું... Jsk... ☘️🙏
પીયૂષકુમાર "પીયૂ"
તા.14.02.2020