"કાગળના પાંદડા અને પ્લાસ્ટિકના જંગલો" (અછાંદસ કાવ્ય)
આજે ફરી તારીખ પાંચમી જૂન આવી છે,
કેલેન્ડરના પાના પર 'લીલો રંગ' લઈને આવી છે!
આજે ફરી ભાષણોની નદીઓ વહેશે,
અને ફેસબુકના વોલ પર 'ગ્રીન' સ્ટેટસ ચમકશે.
પણ...
એ સ્ટેટસ અપલોડ કરતી આંગળીઓ,
એસી ના રૂમમાં બેસીને ઠંડી હવા માણે છે,
જ્યારે બહાર રસ્તા પર ઊભેલું છેલ્લું ઝાડ
તડકામાં તરફડીને દમ તોડે છે!
આપણે કેવા બુદ્ધિજીવીઓ છીએ ને?
વિકાસના નામે વિનાશનો નકશો દોરીએ છીએ,
કોંક્રિટના ઊંચા જંગલો બનાવીને,
એક કુંડામાં તુલસી વાવીને 'પર્યાવરણ પ્રેમી' બનીએ છીએ!
નદીઓને ગટર બનાવી દીધી,
હવાને ઝેરથી સજાવી દીધી,
પક્ષીઓના ટહુકાઓને ટ્રાફિકના ઘોંઘાટમાં ડૂબાડી દીધા,
અને પછી આપણે પૂછીએ છીએ: "આ ગરમી કેમ વધી ગઈ?"
આંખ આડા કાન કરવાની આ રમત,
હવે બહુ લાંબી નહીં ચાલે.
યાદ રાખજો, કુદરત ક્યારેય 'લોન' માફ નથી કરતી,
તે વ્યાજ સાથે હિસાબ વસૂલ કરે છે!
માત્ર એક દિવસ છોડ વાવીને સેલ્ફી લેવાથી કંઈ નહીં થાય,
વિચારોને આચરણમાં વાવવા પડશે.
કપાતા ગયેલા જંગલો આપણી પ્રગતિ નથી, આપણી બરબાદી છે,
જો શ્વાસ જ નહીં બચે, તો આ વૈભવ ક્યા કામનો?
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ત્યારે જ સાચી ગણાશે,
જ્યારે પૃથ્વીનો દરેક શ્વાસ પ્લાસ્ટિકમુક્ત અને શુદ્ધ બનશે.
આવો, માત્ર કેલેન્ડરના પાના નહીં,
આપણી આદતો અને આપણું આચરણ બદલીએ!
અશ્વિન રાઠોડ___"સ્વયમ્'ભૂ',"
મર્મ:- પ્રકૃતિ વિના આપણું કોઈ અસ્તિત્વ નથી. જો આજે આપણે પર્યાવરણ સામે આંખ આડા કાન કરીશું, તો આવતીકાલ આપણી સામે જોવાનું પણ છોડી દેશે. ઉજવણી માત્ર શબ્દોમાં નહીં, સક્રિય આચરણમાં પણ હોવી જોઈએ.... અસ્તુ