મિત્રો,
પ્રસ્તુત છે મારી બીજી રચના. થોડો લેખનનો શોખ, થોડા જાણકાર, સમજદાર અને સભ્ય વાચકો જો એક જગ્યાએ સાથે મળે, તો ખંડેરોને પણ નવનિર્માણના રંગરૂપ મળે. આવું વિચારી અહીં જે મનમાં આવે તે ઉતારું છું, આશા પણ રાખું છું આપ પસંદ કરશો.
"સમજણ"
દુનિયામાં એની કોઈ કદર નથી કરતું, જે મળેલ છે,
હા દરેકના મનમાં, જે નથી તેની કમી રહે છે.
સફરનું તો શું કહેવું, એ તો જીવનભર ચાલે છે,
મુદ્દો તો લાગણીનો છે, એ ક્યાં હાથ રહે છે.
સમયસરના જ વહાલ, વિચાર, વરસાદ કામના,
કમોસમી વાદળોનું પણ ક્યાં કોઈ માન રહે છે.
કેટલા અજબ મૂલ્યો થઈ ગયા છે હવે દુનિયામાં,
લોકોના એક હાથમાં ગુલાબ, બીજામાં ખંજર રહે છે.
સમજદારી એ છે, દરેકને સમજવા દેવું એ જ સમજદાર છે,
ખબર પડે સમજદારોની જ્ઞાતિમાં કોણ સમજદાર રહે છે.
એ હકીકત છે, દરેક હસતો ચહેરો ખુશ હોય જરૂરી નથી,
ઘણા અટ્ટહાસ્ય પણ, એકાંતમાં અફસોસ કરતા રહે છે.
ઘસઘસાટ ઊંઘ પણ એટલી સહેલી નથી હોતી સાહેબ,
એ માટે જોવું પડે દિનભર હૃદયમાં કેટલી ઈમાનદારી રહે છે.
આશા છે, આ રચના આપને પસંદ આવશે, જો સુચન, પ્રતિભાવ, પસંદ-નાપસંદ, જણાવશો તો આગામી રચના માં એનો સમાવેશ કરવા પ્રયત્ન કરીશ.
અસ્તુ...